મહારાષ્ટ્ર-ગુજરાત દિવસની નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 1 મે 2026: Maharashtra-Gujarat Day પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય નેતાઓએ 1 મે, 2026ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રી મોદીએ ‘X’ પર પોસ્ટ કરીને ગુજરાત દિવસની શુભેચ્છા પાઠવતા લખ્યું કે, “ગુજરાત સ્થાપના દિવસના વિશેષ અવસર પર ગુજરાતના લોકોને હાર્દિક શુભેચ્છાઓ. આ દિવસ ગુજરાતના સમૃદ્ધ ઈતિહાસ, જીવંત સંસ્કૃતિ અને અદ્ભુત ભાવનાનો ઉત્સવ છે. આ રાજ્યએ ભારતની પ્રગતિમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે. અહીંના લોકોનો ગતિશીલ અને સાહસિક સ્વભાવ વિશેષ નોંધપાત્ર છે. કામના કરું છું કે આગામી સમયમાં પણ ગુજરાત પ્રગતિની નવી ઊંચાઈઓને સર કરતું રહે.”
મહારાષ્ટ્ર દિવસની શુભેચ્છા આપતા તેમણે લખ્યું, “મહારાષ્ટ્ર દિવસના અવસર પર મહારાષ્ટ્રના મારા તમામ ભાઈ-બહેનોને હાર્દિક શુભેચ્છાઓ. મહારાષ્ટ્રનો સામાજિક ચેતના, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વનો ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે. સાહિત્ય, રંગમંચ, સંગીત અને સિનેમાથી લઈને ઉદ્યોગ, શિક્ષણ, વિજ્ઞાન અને લોકસેવા સુધી—આ રાજ્યએ ભારતના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. હું મહારાષ્ટ્રના સતત વિકાસ અને ત્યાંના મહાન લોકોના કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.”
રક્ષામંત્રી રાજનાથ સિંહે મહારાષ્ટ્રના લોકોને શુભેચ્છા આપતા જણાવ્યું કે સાહસ, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને નવાચારની ભૂમિ મહારાષ્ટ્ર ભારતની વિકાસગાથામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. અન્ય એક પોસ્ટમાં તેમણે ગુજરાતના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે આજે ગુજરાત વિકાસ, ઉદ્યમ અને રાષ્ટ્ર નિર્માણના ઉદાહરણ તરીકે ઉભરી આવ્યું છે.
અમિત શાહે મહારાષ્ટ્ર દિવસ પર લખ્યું કે, ભક્તિ આંદોલનથી લઈને સામાજિક સુધારા સુધી અને છત્રપતિ શિવાજી મહારાજના ‘પૂર્ણ સ્વરાજ’ના પથથી લઈને સ્વતંત્રતા સંગ્રામ સુધી મહારાષ્ટ્રએ હંમેશા ભારતને સકારાત્મક દિશા આપી છે.
ગુજરાત સ્થાપના દિવસ પર તેમણે લખ્યું, “ગૌરવશાળી ઈતિહાસ, સમૃદ્ધ સંસ્કૃતિ અને અદ્વિતીય ઉદ્યમશીલતાની પાવન ભૂમિ ગુજરાતના સ્થાપના દિવસની પ્રદેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. ગુજરાતે સ્વાધીનતાથી લઈને એકીકરણ સુધી અને સહકારિતાથી લઈને સ્વરોજગાર સુધી, સમૃદ્ધ અને સશક્ત રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ભગવાન સોમનાથ પ્રદેશવાસીઓને સુખ, સમૃદ્ધિ અને વૈભવ પ્રદાન કરે તેવી પ્રાર્થના.”
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘X’ પર પોસ્ટ કરી કે, “ગાંધી બાપુ, સરદાર સાહેબ, સ્વામી દયાનંદ સરસ્વતી અને શ્યામજી કૃષ્ણ વર્માના આશીર્વાદથી; પૂજ્ય રવિશંકર મહારાજ અને ઈન્દુચાચા જેવા અનેક મહાપુરુષોની પ્રેરણાથી અને અહીંના લોકોની અથાક મહેનતથી ગુજરાતે પોતાની વિકાસયાત્રા શરૂ કરી. આજે તે તમામના ઋણનો સ્વીકાર કરવાનો અવસર છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “આજે ગૌરવશાળી ગુજરાતની ઓળખ, સંસ્કૃતિ અને સમૃદ્ધિનો ઉત્સવ ઉજવવાનો દિવસ છે. દરેક ગુજરાતીના પ્રયાસોથી આપણું રાજ્ય સેવા, સુરક્ષા અને સુશાસનનું પર્યાય બન્યું છે. જ્યારે ભારત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, ત્યારે આ માટીના સપૂતના માર્ગદર્શનમાં આપણું ગુજરાત દેશના ‘ગ્રોથ એન્જિન’ તરીકે અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે. આવો, આપણે સૌ ગુજરાતી મળીને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવાનો પ્રણ લઈએ.”


