અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. જો કે, ભાજપના આંતરીક સર્વેમાં શહેરી વિસ્તારમાં ભાજપ તરફી માહોલ હોવાનું સામે આવ્યું છે. પરંતુ જિલ્લા-તાલુકા પંચાયતમાં મુશ્કેલી ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. 31 જિલ્લા પંચાયતમાંથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સ્થિતિ ભાજપ માટે સૌથી વધુ પડકારજનક હોવાનું મનાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં ભાજપ દ્વારા નવા માપદંડ અનુસાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપમાં નારાજગી સામે આવી હતી. જો કે, ભાજપ દ્વારા તાત્કાલિક ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરવામાં આવી છે. હાલ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત ચાલી રહી છે. દરમિયાન ભાજપ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ગ્રામીણ વિસ્તારમાં કપરા ચડાણ હોવાનું સામે આવ્યું છે. જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકામાં ભાજપ ની પીછેહટના કારણો પણ તારવવામાં આવ્યાં છે. ગ્રામીણ વિસ્તારમાં પાર્ટી કરતા ઉમેદવારને મહત્વ આપવામાં આવે છે. એટલું જ નહીં દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના પડઘા ચૂંટણીમાં પડવાનો ભય ભાજપને સતાવી રહ્યો છે. ખેડૂતો મતદાનના માધ્યમથી ભાજપ સામે રોષ વ્યક્ત કરે તેવી શકયતાઓ જોવાઈ રહી છે. નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોની પસંદગીમાં આ સર્વેને પણ ધ્યાનમાં લેવામાં આવે તેવી શકયતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત કોર્પોરેશનમાં તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. જ્યારે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે તા. 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે.