1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દીપાવલિઃ અંતરના અંધકારને પ્રકાશિત કરવાનો અવસર એટલે દીવાળી
દીપાવલિઃ અંતરના અંધકારને પ્રકાશિત કરવાનો અવસર એટલે દીવાળી

દીપાવલિઃ અંતરના અંધકારને પ્રકાશિત કરવાનો અવસર એટલે દીવાળી

0
Social Share

દેશભરમાં પ્રકાશનું પર્વ દીપાવલીના તહેવારો રંગેચંગે ઉજવવામાં આવે છે. દીવાળી એ હિંદુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવવામાં આવે છે. દિવાળીને ‘દીપાવલી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ‘દીપ’ એટલે ‘પ્રકાશ’ અને ‘આવલી’ એટલે ‘હરોળ’. આ પ્રકાશની હરોળને દર વર્ષે દીવડાઓ પ્રગટાવીને દર્શાવવામાં આવે છે.

સત્યાધારસ્તપસ્તૈલં  યાવર્તિઃ ક્ષમાશિખા, અંધકારે પ્રવેષ્ટવ્યે દિપો યત્નેન વાર્યતામ્… અર્થાત્ ઘોર અંધકાર ફેલાયેલો હોય, તોફાન માથા પર વહેતું હોય, તો આપણે જે દીપ જગવીએ, તેની દીવટ સત્યની હોય, તેમાં તેલનું તપ હોય, તેનો પ્રકાશ યાનો હોય અને જ્યોત માફીની હોય, આજે સમાજમાં અંધકારનો નાશ કરવા આવા દીવાને પ્રગટ કરવાની જરૂર છે.અમાસના અને અંતરના અંધકારને પ્રકાશથી ઝળહળતું કરવાનું પર્વ એટલે દીપાવલી. 

દિવાળીનો તહેવાર એ પ્રકાશનું પર્વ છે. આ તહેવાર વિશેષ મહત્વ ધરાવે છે. એક ચિંતકે  દિવાળી પર્વ માટે સુંદર સુત્ર આપ્યું છે. દીવાળી એટલે’અપૂર્ણને પૂર્ણ બનાવે તે પર્વ, ખાલીપાને ભરે તે પર્વ, પાપની પરંપરા તોડે તે પર્વ.’ દિવાળીના તહેવારની ઉજવણી માટે સૌ કોઇ અનેક રીતે આયોજન ગોઠવતા હોય છે. આ દિપોત્સવીનો તહેવાર છે જે અંધકારને દુર કરે છે. આપણામાં રહેલ અપૂર્ણતા અને તૃટીઓને દુર કરે છે એવો છૂપો સંદેશ પણ રહેલ છે. આ પર્વ આપણી આધિ-વ્યાધિને દૂર કરનારું છે. પ્રકાશનું પર્વ એટલે અંધકાર પર પ્રકાશનો વિજય. આ સંબધે આધ્યાત્મિક અર્થ જોઇએ તો આપણું સ્વરુપ દિવ્ય ચૈતન્ય છે જે પરમ શુધ્ધ અને અખંડ છે.

અસત્ય પર સત્યના વિજયને પ્રદર્શિત કરતો આ તહેવાર અંતરના અંધકારને ઉલેચવાનો દિવસ પણ દિવાળી છે.  ભગવાન રામ લંકા જીતીને 14 વર્ષે પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં પણ દિવાળી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અંધકારભર્યા માર્ગમાં પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા. દક્ષિણ ભારતમાંથી રામે પોતાના ઉત્તર ભારતમાં તેમના રાજ્ય તરફ મુસાફરી કરી હોવાથી તેઓ પહેલા દક્ષિણમાંથી પસાર થયા હતા.આ કારણથી દક્ષિણ ભારતમાં આ તહેવાર એક દિવસ વહેલો ઉજવાય છે. રામ ભગવાન અયોધ્યા પધાર્યા તેની ખુશીમાં તે સમયે અયોધ્યાના લોકોએ દીપ પ્રગટાવીને એક મોટો ઉત્સવ ઉજવ્યો હતો. અને એટલા માટે જ દીવાળી પર્વને અસત્ય પર સત્યના વિજયનો તહેવાર માનવામાં આવે છે.

વર્ષનો અંતિમ દિવસ એટલે દિવાળી, દીપોત્સ્વી, દીપાવલી. આ તહેવારની ઉજવણીનું મુખ્ય અંગ છે અસંખ્ય દીવડાઓની અનંત હારમાળા. આસો વદ અમાસની આ રાત્રી  અને અમાસ હોવાથી કુદરતે કાળી ઘોર અને અંધારી બનાવી છે તે સ્વાભાવિક છે. પરંતુ આ દિવસે માનવે જાણે કુદરત આ અંધકારને હટાવી દઈ પ્રકાશ પાથરવાનું પરમ સરાહનીય અભિયાન આરંભે છે. આ દિવસે ગરીબ, તવંગર, મહેલ-ઝૂંપડી સઘળે જ અચૂક દીવા પ્રગટાવવાનું શાથી અને ક્યારે શરૂ થયું તે વિષે અનેક કથાઓ ઈતિહાસ, પુરાણ તથા દંતકથાઓમાંથી મળી આવે છે.

દિવાળીના દિવસને શારદાપૂજનનો પવિત્ર દિવસ પણ ગણવામાં આવે છે. આ દિવસે સાક્ષરો, વિદ્વાનો અને વિદ્યાના ઉપાસકો પોતાનાં પુસ્તકોનું પૂજન કરી બુધ્ધિ, પ્રજ્ઞા, કલા તથા વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીની કૃપા યાચે છે. તો વેપારીઓ તેમના હિસાબી ચોપડાઓનું વિધિવત્ પૂજન કરે છે અને નવા વર્ષના નવા ચોપડાઓનો પ્રારંભ કરે છે.

દિવાળી એટલે જીવનમાં ફેલાયેલા અંધકારોને દુર કરીને જીવનમાં પ્રકાશ ફેલાવવાનું પર્વ. આપણા જીવનમાં દ્વેષ, ઈર્ષા, આછકલાઈ, કપટ, શત્રુતા, કોઈનું ખરાબ કરવાની આદત વગેરે જેવા અનેક અંધકારો ફેલાયેલા છે આ તમામ અંધકારોને જીવનમાંથી દૂર કરીને જીવનમાં ભક્તિ, પ્રેમ, પરસ્પર સહયોગ, એકતા વગેરે જેવા પ્રકાશ ફેલાવવાનું પર્વ એટલે દિવાળી.

વિક્રમ સંવત 2079નો અંતિમ દિવસ એટલે દિવાળીનો ઉત્સવ ઉત્સાહની હેલી સાથે મનાવવામાં આવશે. દિવાળીના પર્વે આતશબાજીના આનંદ અને રોશનીના ઝગમગાટ સાથે ઉજવીને લોકો  વિક્રમ સંવતની અંતિમ રાત્રિને હરખભેર વિદાય આપશે. દિવાળીના પર્વે આંગણે-આંગણે, દ્વારે દ્વારે હરખની રંગોળી રચી દીવડા પ્રગટાવવામાં આવશે. જ્યારે સાંજ ઢળતા જ અબાલ-વૃધ્ધ સૌ કોઈ દુખ-દર્દ ભૂલી ફટાકડાના ધૂમ-ધડાકા સાથે દિવાળીની ઉજવણી કરશે. ગગનમાં સપ્તરંગી રંગોળી રચાઈ હોય, તેવી આતશબાજી જોવા મળશે. તમામ નાના-મોટા શહેરોમાં મુખ્ય બજારમાં રોશની કરવામાં આવશે.

દિવાળીના પર્વે વેપારીઓ દ્વારા વર્ષભરમાં થયેલા નફા-નુકશાનનું સરવૈયું કાઢી દેશીહિસાબના ચોપડાનું વિધિવિધાનથી પૂજન કરશે. પરંપરાગત તહેવારમાં આધુનિકરણનો રંગ લાગ્યો હોય, ચોપડા પૂજન સિવાય કોમ્પ્યુટર પૂજન પણ કરવામાં આવશે. ઉપરાંત. દિવાળી-નૂતન વર્ષના તહેવારને લઈ લોકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code