અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. હવે 18 શહેરોમાં જ રાત્રીના 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરફ્યુ અમલમાં છે. બીજીબાજુ સરકાર દ્વારા પરિવહન સહિતના તમામ ક્ષેત્રમાં છૂટછાટો વધારવામાં આવી રહી છે. દરમિયાન સરકાર દ્વારા રાજ્યની તમામ એસ.ટી.બસોને રાત્રિ કરફ્યુમાં મુક્તિ આપતો નિર્ણય લીધા બાદ રાજકોટથી અનેક રૂટની એવી બસ જે વહેલી સવારે ઉપડતી હતી તે ફરીથી શરૂ થઈ જશે. આ સાથે જ કર્ફયુમાંથી છૂટ મળી જતાં વિવિધ રૂટની 84 જેટલી બસમાં પણ વધારો થશે તેમ એસ.ટી.વિભાગ દ્વારા જણાવાયું છે.
એસટી નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ એસ.ટી.બસોને કરફ્યુમાંથી મુક્તિ મળી જતાં હવે વહેલી સવારથી જ રાજકોટમાંથી જ અમદાવાદ, જામનગર, મોરબી, કાલાવડ, જૂનાગઢ, ભૂજ, ભાવનગર, અમરેલી, વડોદરા સહિતના રૂટની બસો મળી શકશે. આ ઉપરાંત 84 જેટી બસમાં પણ વધારો થશે. તેમણે કહ્યું કે અમદાવાદ માટે હવે રાજકોટથી સવારે 4 વાગ્યાથી, જામનગર માટે સવારે 5 વાગ્યાથી, મોરબી માટે સવારે 5:30 વાગ્યાથી, જૂનાગઢ માટે સવારે 5 વાગ્યાથી, કાલાવડ માટે સવારે 3:30 વાગ્યાથી, ભૂજ માટે સવારે 5 વાગ્યાથી, ભાવનગર માટે સવારે 5 વાગ્યાથી, અમરેલી જવા માટે સવારે પાંચ વાગ્યાથી અને વડોદરા જવા માટે સવારે 4:30 વાગ્યાથી બસ મળી રહેશે. આ તમામ બસ રાત્રિ કર્ફયુ હોવાને કારણે અત્યાર સુધી બંધ હતી પરંતુ હવે છૂટછાટ મળી જતાં તે રાબેતા મુજબ દોડવા લાગશે. આવી જ રીતે છૂટછાટ મળી જવાને કારણે જામનગર તરફથી 18 જેટલી બસ, અમદાવાદ તરફથી 28 જેટલી બસ, બરોડા-સુરત તરફની 14 બસ, મોરબી તરફથી 16, કાલાવડ તરફથી 9, ભાવનગર તરફથી 6 અને અમરેલી તરફની 8 બસોમાં વધારો થશે જેના કારણે મુસાફરોને વધુ સુવિધા મળી રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા એસ.ટી.બસોને કરફ્યુમાં અવર-જવર કરવાની છૂટ આપવામાં આવતાં છેલ્લા ઘણા સમયથી બંધ પડેલા રૂટ ફરી શરૂ કરવામાં આવી રહ્યા છે. અત્યારે રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ અમલી હોય છે, પરંતુ અનેક રૂટ એવા હોય છે જેના ઉપર વહેલી સવારે 3:30 વાગ્યાથી બસ દોડી રહી હોય છે. જો કે કરફ્યુ હોવાને કારણે આ બસ દોડાવવામાં આવી રહી નહોતી પરંતુ હવે તેમાં છૂટ મળી જતાં વહેલી સવારના રૂટ ઉપર પણ બસ દોડતી થઈ જશે.