ચૂંટણી 2022: ગુજરાતમાં 75 વર્ષથી વધુ ઉંમરના નેતા તથા MP-MLAના સંબંધીઓને BJP નહીં આપે ટિકીટ
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસારની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ ઉપરાંત ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન ભાજપમાં 75 વર્ષથી વધુના નેતા અને સાંસદ-ધારાસભ્યોના પરિવારજનોને ચૂંટણીની ટિકીટ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, હવે કોઈ સગા સંબંધીને કોઈ પ્રકારે ટિકિટ નહીં આપવામાં આવે, એટલુ જ નહિ 75 વર્ષથી ઉપરનાને પણ ટિકિટ આપવામાં નહિ આવે, આ માટે થઈને કોઈએ ઓળખાણ પણ લગાવવી નહીં. સી.આર. પાટીલનો સ્પષ્ટ જણાવ્યું હતું કે, કોઈ સાંસદ કે ધારાસભ્યોના સગા- સંબંધીઓને ટિકીટ નહીં મળે. ભાજપના કોઈપણ પદાધિકારીના સગાને ટિકિટ નહીં આપે. મનસુખ વસાવા પોતાની પુત્રી માટે અગાઉ ટિકીટ માગી ચૂકયા છે. જો કે, તેમની પુત્રીને પણ ટિકીટ નહીં આપવાનો નિર્ણય લેવાયો છે.
સી.આર પાટીલે જણાવ્યું કે, ભાજપ 5થી 15 તારીખ સુધી લોકો પાસેથી સૂચનો લઈને સંકલ્પ પત્ર જાહેર કરીશું. ભાજપે જે વચનો આપ્યા તેમાંથી 78 ટકા પૂર્ણ થયા છે. સૂચન બોક્ષ પ્રત્યેક ગામમાં મુકાશે, જેના આધારે સૂચન મળશે તે મેનિફેસ્ટો તૈયાર કરીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ ભાજપે ચૂંટણી-પ્રચારને લઈને રણનીતિ તૈયાર કરી છે. આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં જાહેરસભાને સંબોધિત કરશે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ ગુજરાતમાં પ્રચાર-પ્રસાર અર્થે આવશે. આ માટે ભાજપ દ્વારા રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.