1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પામોલીન તેલ સસ્તું થયુ છતાં પણ ફરસાણના વેપારીઓ ભાવમાં ઘટાડો કરવા રાજી નથી
પામોલીન તેલ સસ્તું થયુ છતાં પણ ફરસાણના વેપારીઓ ભાવમાં ઘટાડો કરવા રાજી નથી

પામોલીન તેલ સસ્તું થયુ છતાં પણ ફરસાણના વેપારીઓ ભાવમાં ઘટાડો કરવા રાજી નથી

0

રાજકોટઃ રાજ્યમાં ખાદ્ય-ચિજવસ્તુઓના ભાવમાં વધારો થયા પછી તેના ભાવમાં ભાગ્યેજ ઘટાડો થતો હોય છે. મોટા ભાગના ફરસાણના વેપારીઓ સસ્તા એવા પામોલિન તેલનો ઉપયોગ કરતા હોય છે. છેલ્લા ચાર મહિનામાં પામોલિન તેલમાં 18 રૂપિયાનો કિલોએ ઘટાડો થયો હવા છતાં ફરસાણના વેપારીઓ ફરસાણના ભાવમાં ઘટાડો કરતા નહીં હોવાની ફરિયાદો ઊઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ફરસાણના ઉત્પાદનમાં 30 ટકા કરતા વધારે ભાગ ધરાવતા પામતેલના ભાવમાં 46 ટકાનું તોતિંગ ગાબડું પડી ગયું છે. આમ છતાં ફરસાણના ભાવમાં પાંચ-દસ ટકાનો પણ ઘટાડો કરાયો નથી, પરિણામે વપરાશકારોમાં કચવાટ છે. આશ્ચર્યની વાત એ છે કે, આ વર્ષે બેસનના ભાવમાં પણ ભારે મંદી છે, હવે પામતેલ સસ્તું થયું છે એટલે દશેરાએ ગાંઠિયા સહિતનું ફરસાણ લોકોને કિલોએ રૂ. 20-30 જેટલું સસ્તું તો મળવું  જોઇએ. આ દિશામાં હવે સરકારી તંત્ર દ્વારા પગલા લેવામાં આવે તેવી  એવી માગ ઉઠી છે.
ગાંઠિયા, સેવ, ચેવડો અને ચવાણા જેવા વધારે ખવાતા ફરસાણનો ભાવ એક કિલોએ રૂ. 220થી નીચે ભાગ્યે જોવા મળે છે. બેસન એક કિલોએ રૂ. 70માં મળે છે અને પામતેલનો ભાવ એક કિલોએ રૂ. 96-97 છે. પામતેલ તો અતિશય સસ્તું થઇ ગયું છે. છતાં ફરસાણ ઉત્પાદકો ભાવ ઘટાડો કરવાનું નામ લેતા નથી. ફરસાણ ઉત્પાદકો વધેલી મજૂરીનું કારણ આગળ ધરે છે, એમાં શંકા નથી છતાં વાજબી ઘટાડો કરીને ગ્રાહકો સુધી લાભ પહોંચાડવાની હવે આવશ્યકતા છે. ચણાનો ભાવ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતા ય નીચો છે. ખેડૂતોને ચણાના પાકમાં ભારે નુક્સાની ગઇ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, પામતેલમાં  મલેશિયા અને ઇન્ડોનેશિયા ખાતે બેફામ મંદી ચાલી રહી હોવાથી ઘરેલું બજારમાં તેલના ભાવ ઘટી ગયા છે. અત્યારે પામતેલનો ભાવ બે વર્ષની તળિયાની સપાટીએ છે. દશેરા નજીક છે અને દિવાળી વીસેક દિવસમાં આવી રહી છે ત્યારે ફરસાણ લોકોને સસ્તું મળે એ માટે સરકારે જાગૃત થવાની જરૂર છે. રાજકોટ શહેરમાં એક કિલો ગાંઠિયા રૂ. 220થી સસ્તાં બહુ જ ઓછી દુકાનોએ હશે પણ ઉંચો ભાવ મનફાવે તેમ લેવાય છે. હાઇ-વે પર એક કિલોએ રૂ. 500-550 સુધીના ભાવ પણ પડાવાય છે. છતાં સરકારી તંત્ર મૌન બનીને તમાશો જોતું હોય છે. એવું ય નથી કે મોંઘું ફરસાણ વેંચનારો વર્ગ સીંગતેલમાં તળે છે, કપાસિયામાં અનેક ઠેકાણે ફરસાણ બને છે. કપાસિયા તેલના ભાવ પણ હાલમાં ઘટીને રૂ. 148 પ્રતિ કિલો થઇ ગયા છે એટલે ફરસાણ લઘુત્તમ રૂ. 20-30 જેટલું તો સસ્તું થવું જ જોઇએ એવી લોકલાગણી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code