1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લખતરના વરસાણી ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, અબોલ પશુઓની હાલત દયનીય
લખતરના વરસાણી ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, અબોલ પશુઓની હાલત દયનીય

લખતરના વરસાણી ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા, અબોલ પશુઓની હાલત દયનીય

0
Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં પીવાના પાણીની સમસ્યા અનેક ગામોમાં જોવા મળી રહી છે. જેમાં કેટલાક ગામોમાં તંત્રની બેદરકારીને લીધે પાણીની સમસ્યા ઊભી થઈ છે. નર્મદાની મુખ્ય કેનાલ જિલ્લામાંથી પસાર થાય છે. છતાં લોકોને પુરતું પાણી મળતું નથી. લખતર તાલુકાના કેટલાક ગામોમાં પાણીની બુમરાણ ઊઠી છે. જેમાં તાલુકાના વરસાણી ગામે છેલ્લા 10 દિવસથી ગ્રામજનો પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનોને પીવાનું પાણી મળતુ નથી, ત્યાં પશુઓની હાલત દયનીય બની છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે. ઉનાળાના ધોમધખતા તાપની વચ્ચે લોકોની સાથે સાથે અબોલ પશુઓને પણ પીવાના પાણીની જરૂરિયાત વધુ પડતી હોય છે. હાલ કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સામે આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના લખતરના વરસાણી ગામે પણ કંઈક આવી જ પાણીની વિકટ સ્થિતિનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે. અહીં છેલ્લા 10 દિવસથી પુરવઠા વિભાગની પાણીની લાઈનમાં પાણી ન આવતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.બીજી બાજુ વરસાણી ગામના તળાવમાં પડેલુ ડેડ વોટરમાં ગંદકી હોવાથી તે પશુઓના પણ પીવા માટે કામમાં આવે તેવુ નથી. તેમજ પશુઓના પણ પીવાના પાણીના અવાડા હાલ ખાલીખમ જોવા મળી રહ્યા છે. તેવામાં કાળઝાળ ગરમીમાં પશુઓને પણ પાણી માટે આમ તેમ ભટકવું પડી રહ્યું છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, “નલ સે જલ તક” યોજના નીચે વરસાણી ગામમાં નવો સમ્પ તૈયાર તો કરાયો છે. જોકે તેનું લોકાર્પણ હજી સુધી થયુ નથી. જેના કારણે ગ્રામજનોને પીવાના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આવી જ વિકટ પરિસ્થિતિ રહી તો આગામી દિવસોમાં તેમને હિજરત કરી અન્ય ગામમાં રહેવા જવાની ફરજ પડશે. (file photo)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code