બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓનો અત્યાચારઃ 50 વર્ષમાં હિન્દુઓની વસતીમાં 16.46 ટકા જેટલી ઘટી
દિલ્હીઃ બાંગ્લાદેશને પાકિસ્તાનમાંથી વર્ષ 1971માં આઝાદી મળી હતી. બાંગ્લાદેશની આઝાદીમાં ભારતની મહત્વની ભૂમિકા હતી. બાંગ્લાદેશની આઝાદી વખતે હિન્દુઓની વસતી 25 ટકા હતી. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર કટ્ટરપંથીઓના અત્યાચારમાં વધારો થયો છે. એટલું જ નહીં કેટલાક કટ્ટરપંથીઓને પાકિસ્તાન મદદ કરતું હોવાનું મનાઈ રહ્યું છે. કટ્ટરપંથીઓના અત્યાચારને કારણે હિન્દુઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 50 વર્ષના સમયગાળામાં હિન્દુઓની વસતીમાં 16.46 ટકા જેટલો ઘટાડો થયો છે. હાલ બાંગ્લાદેશમાં લગભગ 8.54 ટકા હિન્દુઓની વસતી છે. એટલું જ નહીં હાલ પણ કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુઓ અને તેમના ધાર્મિક સ્થળો ઉપર હુમલાના બનાવો બની રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનમાં હિન્દુઓ ઉપર અત્યાચારના બનાવો અવાર-નવાર સામે આવે છે. આ ઉપરાંત હિન્દુ યુવતીઓનું અપહરણ કરીને ધર્મ પરિવર્તન કરાવ્યાં બાદ નિકાહ કરાવવામાં આવતા હોવાની ઘટના બનતી હોય છે. તેની ઈન્ટરનેશનલ કક્ષાએ પણ ગંભીર નોંધ લેવામાં આવી હતી. બીજી તરફ છેલ્લા કેટલાક વર્ષોમાં બાંગ્લાદેશમાં પણ લઘુમતીઓ ઉપર હુમલાના બનાવોમાં વધારો થયો છે. આજે જ બાંગ્લાદેશમાં 50 હિન્દુઓના ઘરને નિશાન બનાવીને લૂટફાટ અને તોડફોડની ઘટના સામે આવી છે. એટલું જ નહીં કટ્ટરપંથીઓએ ચાર મંદિરમાં પણ તોડફોડ કરીને હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવી છે. આ ઘટના પાછળ બાંગ્લાદેશના જે કટ્ટરપંથી સંગઠનની સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે. તેને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ આર્થિક મદદ કરતી હોવાનું સામે આવ્યું છે.