![ઊંઝા તાલુકાના દાસજ ગામે નકલી જીરૂં બનાવવાની ફેકટરી પકડાઈ, લાખોનો માલ જપ્ત કરાયો](https://www.revoi.in/wp-content/uploads/2022/10/Fake-cumin-factory.jpg)
મહેસાણાઃ જિલ્લાના ઊંઝા વિસ્તારમાં જીરાનું સારા પ્રમાણમાં ઉત્પાદન થાય છે.તેમજ માર્કેટયાર્ડમાં જીરાવા પાકનું ખરીદ-વેચાણ મોટા પ્રમાણમાં થાય છે. હાલ જીરાના ભાવ આસમાને પહોંચ્યા હોવોથી કેટલાક લાકો રાતોરાત માલદાર બનવા માટે વરિયાળીમાંથી નકલી જીરૂ બનાવીને વેપાર કરતા હોય છે. નકલી વસ્તુઓ તૈયાર કરીને રૂપિયાવાળા બનવા માટે નવા-નવા પેંતરા કરવામાં આવતા હોય છે. ઊઝા નજીક દાસજ ગામે નકલી જીરૂ બનાવતી ફેકટરી પકડાઈ છે.
મહેસાણાનો ઊંઝા વિસ્તાર જીરા માટે પ્રખ્યાત છે, અહીંના જીરુનો ગુજરાત સહિત દેશ-વિદેશમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે દાસજ ગામે એક એવું ગોડાઉન મળી આવ્યું હતુ કે, જેમાં નકલી જીરું તૈયાર કરવાની ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પાડેલી રેડમાં મોટો ભાંડો ફુટ્યો છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે
સૂત્રોના જણાવ્યા મુજબ ઊંઝાના દાસજ પાસેથી એક ગોડાઉનની અંદર નકલી જીરું તૈયાર કરવામાં આવતું હતું. તેનો ભાંડો ફૂટી ગયો છે. નકલી જીરું તૈયાર કરવા માટે સિમેન્ટનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. દાસજના મંગલમૂર્તિ નામના 13 નંબરના ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ પાડીને નકલી જીરાનો જથ્થો કબજે કરી લીધો છે. નકલી જીરાનો જે જથ્થો મળ્યો છે તે લોકોની આંખો પહોળી કરી નાખે તેવો છે. આ સાથે જે રીતે જીવલેણ જીરું તૈયાર કરવામાં આવતું હતું તેની ખતરનાક પદ્ધતિનો પણ ખુલાસો થયો છે.બનાવટી જીરૂના સેમ્પલ લઈ ગોડાઉનમાં પથરાયેલ રૂ.5 લાખની કિંમતનો 3,360 કિલો જપ્ત કરી સીઝ કર્યો હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મહેસાણા ફૂડ વિભાગની ટીમે દાસજ ગામે આવેલા પટેલ જય દશરથભાઈના મંગલમૂર્તિ નામના 13 નંબરના ગોડાઉનમાં રેડ કરી બનાવટી જીરું ઝડપી પાડ્યું હતું. આ જીરુંના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી અપાયા હતા. જ્યારે ફૂડ વિભાગની ટીમે ગોડાઉનમાં પથરાયેલા રૂ.5.04 લાખની કિંમતનો 48 કોથળા 3360 કિલો બનાવટી જીરુનો જથ્થો કબજે કરી સિઝ કર્યો હતો. તંત્ર દ્વારા લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ જય પટેલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે. કહેવાયછે.કે, ગોડાઉનના માલિક દ્વારા વરિયાળીના ભુસા ઉપર કેમિકલ પ્રોસેસ કરી સિમેન્ટ અને ગોળનો ઢોળ ચઢાવીને તેને અદલ જીરા જેવું બનાવવામાં આવતું હોવાનું ફૂડ અધિકારીએ જણાવ્યું હતું.