1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ખેડૂતો કાંટાળા તારની ફેન્સીંગની સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે
ખેડૂતો કાંટાળા તારની ફેન્સીંગની સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે

ખેડૂતો કાંટાળા તારની ફેન્સીંગની સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતોના ઉભા પાકને રક્ષણ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેતરની ફરતે કાંટાળા તારનું ફેન્સીંગ કરવામાં સહાય આપવાની યોજના અમલમાં છે. આ યોજના હેઠળ ખેડૂતોને ઓછામાં ઓછા બે હેકટર વિસ્તાર માટે નવી તારની વાડ બનાવવા રનીંગ મીટર દીઠ રૂ. 200 અથવા ખરેખર થનારા ખર્ચના 50 ટકા, બંનેમાંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવે છે. આ સહાય મેળવવા માટે ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને ફાળવેલા લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજી સ્વીકારવામાં આવે છે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.

વધુમાં જણાવ્યાનુસાર, ખેડૂતો ચાલુ વર્ષે પણ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે તે હેતુથી અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ જિલ્લા માટે આઈ-ખેડૂત પોર્ટલ આગામી તા. 8 ડિસેમ્બરથી 30 દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે. જ્યારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમી દ્વારકા, સુરેન્દ્રનગર અને કચ્છ  જિલ્લાના ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ આગામી તા. 10 ડિસેમ્બરથી પછીના 30 દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે.

આ ઉપરાંત સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ આગામી તા. 12 ડિસેમ્બરથી પછીના 30 દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે. ખેડૂત અને ખેડૂત જૂથ દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કર્યા બાદ દિન-10માં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે જરૂરી તમામ સાધનિક પુરાવા જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂ કરવાની રહેશે. ત્યારબાદ સ્થળ ચકાસણી કરવામાં આવશે અને તેના પછી જ સહાય માટે પૂર્વ મંજુરી આપવામાં આવશે.  પૂર્વ મંજુરી મેળવી હોય તેવા ખેડૂતો અને ખેડૂત જૂથ લીડરે નિયત ડીઝાઇન અને સ્પેસીફીકેશન ઠરાવની શરતો મુજબ તાર ફેન્સીંગ બનાવવાની કામગીરી દિન-120માં પૂર્ણ કરીને સમાન ખરીદીના GST વાળા બીલ અને અન્ય જરૂરી દસ્તાવેજો સહિત ક્લેમ જમા કરવાનો રહેશે. ત્યારબાદ કામગીરી પૂર્ણ થયાની સ્થળ ચકાસણી બાદ સહાયની રકમ બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે, તેમ યાદીમાં જણાવાયુ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code