જામનગરમાં સપડા ગામના ડેમમાં નહાવા પડેલા એક જ પરિવારના પાંચ લોકોના ડૂબી જતાં મોત
જામનગરઃ ગુજરાતમાં સારા વરસાદને લીધે નદી, તળાવો ડેમ સહિતના જળાશયો ભરાયેલા છે. ત્યારે એમાં નહાવા પડીને ડૂબી જવાના બનાવો વધી રહ્યા છે. જામનગર નજીક આવેલા સપાડા ગામના ડેમમાં નહાવા માટે પડેલા એકજ પરિવારના પાંચ લોકોના ડુબી જવાથી મોત નિપજતા ગમગીની વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ, 108 અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાંચેય મૃતદેહ બહાર કાઢી લીધા હતાં.
આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. જામનગર શહેરમાં આવેલા દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગજાનંદ પ્રોવિઝન સ્ટોર ચલાવતા મહેશભાઈ કારાભાઈ મંગે (કચ્છી, ભાનુશાળી) પોતાના પરિવાર સાથે સપડા ડેમ ખાતે ફરવા ગયા હતા. ત્યારે આ પરિવાર ડેમમાં નહાવા પડ્યો હતો. જેમાં ડૂબી જતાં પાંચના મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ, 108 અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, ફાયર વિભાગે પાંચેય લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં ભોગ બનેલો યુવક મહેસાણા ખાતે એન્જિનિયરનો અભ્યાસ કરતો હતો અને ગઇકાલે જ મહેસાણાથી જામનગર આવ્યો હતો. ત્યારે શનિવારે પરિવાર સાથે ફરવા ગયો હતો. જ્યાં ડૂબી જતાં મોતને ભેટ્યો છે. આમ એક જ પરિવારના પાંચ લોકોના અચાનક મોત થતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ બનાવની જાણ થતાં જ કચ્છી ભાનુશાળી સમાજના જામનગરના અગ્રણીઓ પણ દાડી આવ્યા હતા. તમામ મૃતદેહોને પીએમ માટે જામનગર લવાયા હતા. આ બનાવમાં મૃતકોમાં લીનાબેન મહેશભાઈ મંગે (ઉ.વ .41), મહેશભાઈ કારાભાઈ મંગે (ઉવ. 44), સિદ્ધ કારાભાઈ મંગે (ઉવ. 20), અનિતાબેન વિનોદભાઈ દામા (ઉવ .40), અને રાહુલ વિનોદભાઈ દામા (ઉ. વ.17)નો સમાવેશ થાય છે.