1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસકાંઠાને લીલોછમ બનાવવા માટે વન વિભાગ દ્વારા 54.65 લાખ રોપાઓનું વિતરણ કરાશે
બનાસકાંઠાને લીલોછમ બનાવવા માટે વન વિભાગ દ્વારા 54.65 લાખ રોપાઓનું વિતરણ કરાશે

બનાસકાંઠાને લીલોછમ બનાવવા માટે વન વિભાગ દ્વારા 54.65 લાખ રોપાઓનું વિતરણ કરાશે

0
Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2004થી પ્રતિવર્ષ વન મહોત્સવની ઊજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે 73 માં જિલ્લા સ્તરીય વન મહોત્સવની ઉજવણી 12 ઓગષ્ટ-2022ના સવારે-9.00 કલાકે બનાસ મેડિકલ કોલેજ મારિયા ખાતે અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના રાજય મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. જે અંતર્ગત જિલ્લામાં 54.65 લાખ રોપાઓના ઉછેર થકી જિલ્લાને લીલોછમ કરવાના શ્રી ગણેશ કરાશે.

બનાસકાંઠા જિલ્લામાં 12મી ઓગસ્ટના રોજ યોજાનારા વન મહોત્સવની ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લામાં ચાલુ વર્ષે 73 માં વન મહોત્સવ દરમિયાન કુલ 54.65 લાખ રોપાઓ ઉછેરવામાં આવશે. જેમાં લીમડા, અરડુસા, નીલગીરી, સેવન, આંબલી, જાંબુ, ચંદન, ગુલમહોર, આંબળા, લીંબુ, કણજી વિગેરે જાતોનો સમાવેશ થાય છે. જે રોપાઓ સને- 2022ના ચોમાસા દરમિયાન સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર શાળા, સંસ્થા, પંચાયતો, સરકારી કચેરીઓ, સહકારી મંડળીઓ, વ્યકિતગત લાભાર્થી અને ખેડૂતોની ભાગીદારીથી ખુલ્લી, પડતર તેમજ માલિકીની જમીનોમાં વાવતેર કરવા માટે રોપાઓનું વિતરણ કરવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લાના દાંતાની હાઈટેક નર્સરી પાતળીયા ખાતે આવેલી છે અને આ નર્સરીમાં છેલ્લા બે વર્ષથી નવતર પ્રયોગરૂપે ઉચ્ચ ગુણવતાયુક્ત કલોનલ નીલગીરીના 1 લાખ રોપા ઉછેરવામાં આવ્યા છે, આ સિવાય અમીરગઢ રેન્જની રાજપુરીયા હાઈટેક નર્સરીમાં પણ 0.50 લાખ રોપા ઉછેરવામાં આવ્યા છે અને આ રોપા ચાલુ વન મહોત્સવ દરમિયાન પ્રવર્તમાન સરકારના નિયમોનુસાર રોપાઓ મુજબ વિતરણ કરવાની પહેલ કરી છે. આપણી ભારતીય સંસ્કૃતિએ તપોવનની સંસ્કૃતિ છે. મનુષ્ય જીવન સાથે પ્રકૃતિ અભિન્ન પણે સંકળાયેલી છે, ​​​
લોકોમાં પર્યાવરણની જાગૃતિ લાવવા વનીકરણ દ્વારા ગુજરાતને વધુમાં વધુ હરિયાળું બનાવવા, છાંયડો, બળતણ માટેનું લાકડું, ફળો, ઘાસચારો, તથા નાના ઇમારતી લાકડાની માંગને પહોંચી વળવા જંગલ બહારના વિસ્તારમાં મોટાપાયે વૃક્ષોનું વાવેતર કરવા જેવા વિવિધ હેતુઓ માટે પ્રતિ વર્ષ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. વૃક્ષ ઉછેર માટેની પ્રેરણા પુરી પાડવાના ઉમદા ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “સાંસ્કૃતિક વન” નિર્માણનો નવો અભિગમ આપી હરિયાળી ક્રાંતિ માટેનો નવો રાહ ચિંધ્યો છે. ગુજરાતમાં ફક્ત 11 ટકા જેટલો વનવિસ્તાર છે છતાં ગુજરાત એક એવું રાજ્ય છે કે જેણે સમગ્ર દેશમાં સૌ પ્રથમ સામાજિક વનીકરણની પ્રવૃત્તિ શરૂ કરી દેશને વૃક્ષોના મહત્વ અંગે દિશા ચીંધવાનું કાર્ય કર્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code