1. Home
  2. ગુજરાતી
  3. પશ્ચિમ ઉત્તરપ્રદેશ રમખાણોમાં સળગતુ હતું ત્યારે અગાઉની સરકાર ઉજવણી કરતી હતીઃ પીએમ મોદી
પશ્ચિમ ઉત્તરપ્રદેશ રમખાણોમાં સળગતુ હતું ત્યારે અગાઉની સરકાર ઉજવણી કરતી હતીઃ પીએમ મોદી

પશ્ચિમ ઉત્તરપ્રદેશ રમખાણોમાં સળગતુ હતું ત્યારે અગાઉની સરકાર ઉજવણી કરતી હતીઃ પીએમ મોદી

0
Social Share

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીને પગલે રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ રેલીને સંબોધી હતી. સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે પશ્ચિમ યુપી રમખાણોમાં સળગી રહ્યું હતું ત્યારે અગાઉની સરકાર ઉજવણી કરી રહી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે 5 વર્ષ પહેલા તોફાની જ કાયદો હતો. દીકરીઓ ઘરની બહાર જતી ડરતી હતી. ગુનેગારો અને તોફાનીઓને સરકાર દ્વારા રક્ષણ આપવામાં આવ્યું હતું. અમારું કામ અને તેમના કારનામા જોઈને લોકો નક્કી કરશે. આ વખતે લોકો અમને પહેલા કરતા વધુ આશીર્વાદ આપશે અને જંગી મતોથી જીતાડશે. અગાઉની સરકાર કાગળ પર પ્રોજેક્ટ બનાવવામાં અને શિલાન્યાસ કરવામાં નિષ્ણાત હતી. પરંતુ ડબલ એન્જિનની સરકાર સપના પૂરા કરે છે.

અખિલેશ યાદવ પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે મેં સાંભળ્યું છે કે કેટલાક લોકોને સપના આવે છે. હું કહેવા માંગુ છું કે જે લોકો ઊંઘતા રહે છે તેમને સપના આવે છે. જે જાગે છે તે સંકલ્પ કરે છે. સીએમ યોગી એવા નેતા છે જે જાગે છે અને સંકલ્પ કરે છે.પીએમ મોદીએ કહ્યું કે ભાજપ સરકાર જે કંઈ પણ કરી રહી છે તેનો સૌથી વધુ ફાયદો દલિતો, વંચિત, પછાત અને ગરીબોને મળી રહ્યો છે. સમાનતા માટે દીકરીઓના લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવામાં આવી હતી. આનાથી તેમને તેમના સપના પૂરા કરવા માટે સમય મળશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ડબલ એન્જિન સરકાર દ્વારા 15 કરોડ નાગરિકોને મફત રાશન આપવામાં આવી રહ્યું છે. પરંતુ 5 વર્ષ પહેલા ગરીબોના રાશનની ચોરી થતી હતી. ખેડૂતને અપાતી સરકારી મદદમાં લૂંટફાટ બંધ કરવાનું અમારું લક્ષ્ય રહ્યું છે. યુપીના નાના ખેડૂતોને મદદ તરીકે 43 હજાર કરોડ રૂપિયાથી વધુ સીધા તેમના ખાતામાં મોકલવામાં આવ્યા છે. નાના ખેડૂતો જ આપણું ગ્રામીણ જીવન બદલી નાખશે.

પીએમ મોદીએ કહ્યું કે અમે લક્ષ્ય રાખ્યું હતું કે અમે MSP પર ખેડૂતો પાસેથી રેકોર્ડ ખરીદીશું. યોગી સરકારે 2017ની સરખામણીમાં બમણીથી વધુ ખરીદી કરી છે. અમે શેરડીના ખેડૂતોને વહેલી તકે ચૂકવણી કરવાનો લક્ષ્યાંક પણ નક્કી કર્યો છે. યોગી સરકારે શેરડીના ખેડૂતો માટે ઘણું કામ કર્યું. વર્તમાન સત્ર માટે લગભગ 70 ટકા ચુકવણી થઈ ગઈ છે. ઇથેનોલનું ઉત્પાદન પણ વધ્યું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ચૂંટણીની વચ્ચે પણ સીએમ યોગી વહેલી સવારે હોસ્પિટલ પહોંચી જાય છે અને જુએ છે કે લોકોની સેવા યોગ્ય રીતે થઈ રહી છે કે નહીં. તમારી પાસે સીએમ યોગીના રૂપમાં લોકોનું ધ્યાન રાખનાર નેતા છે. આ ચૂંટણીમાં જંગી સંખ્યામાં મત આપો અને ગરીબોની સરકાર એટલે કે ભાજપની સરકાર બનાવો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code