નવી દિલ્હીઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહીસલામત પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગાની શરૂઆત કરી છે એટલું જ નહીં અત્યાર સુધીમાં પાંચેક ફ્લાઈટમાં અનેક વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યાં છે. દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓ સાથે યુક્રેન પોલીસ અમાનવીય વર્તન કરતું હોવાની ઘટના સામે આવતા ભારત સરકારની ચિંતામાં વધારો થયો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. ગઈકાલે રવિવારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. ભારતીય નાગરિકોની મદદ માટે ચાર કેન્દ્રીય મંત્રી યુક્રેનના પડોશી દેશ જાય તેવી શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાના સરકાર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. તેમજ મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો યુક્રેનના પડોશી દેશોમાં ભારે યાતનાઓ ભોગવીને પહોંચી રહ્યાં છે. તેમને એરલિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ચાર કેન્દ્રીય મંત્રી યુક્રેનના પડોશી દેશોમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા છે. આ મંત્રીઓ વિદ્યાર્થીઓને પરત પોતાના દેશ પહોંચવામાં મદદ કરશે. સુત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરણ રિજિજૂ અને જનરલ વિ.કે.સિંહ નિકાસી મિશનના સમન્વય અને વિદ્યાર્થોની મદદ માટે યુક્રેનના પડોશી દેશોના પ્રવાસે જાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉચ્ચ સ્તરની બેઠક બોલાવી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, અમારા વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેમને સહીસલામત બહાર કાઢવા અમારી પ્રાથમિકતા છે.