ભારતીયો માટે ફ્રાન્સના દ્વાર ખૂલ્યા: હવે એરપોર્ટ પર ટ્રાન્ઝિટ વિઝાની જરૂર નહીં રહે
નવી દિલ્હી, 23 એપ્રિલ 2026: ભારતના વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સંબંધો અને સુરક્ષાના મોરચે અનેક મહત્વની સફળતાઓ અંગે માહિતી આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ફ્રાન્સ દ્વારા ભારતીય નાગરિકો માટે વિઝા-મુક્ત ટ્રાન્ઝિટની સુવિધા શરૂ કરવામાં આવી છે, જે ભારતની વધતી જતી વૈશ્વિક પ્રતિષ્ઠાનું પ્રતીક છે. ભારતે ફ્રાન્સ સરકારના આ નિર્ણયનું ઉમળકાભેર સ્વાગત કર્યું છે. રણધીર જયસ્વાલના જણાવ્યા મુજબ, 10 એપ્રિલ 2026થી ભારતીય નાગરિકો માટે ફ્રાન્સના એરપોર્ટ્સ પર ટ્રાન્ઝિટ વિઝાની અનિવાર્યતા ખતમ કરી દેવામાં આવી છે.
ફેબ્રુઆરી મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં વચ્ચે થયેલી મુલાકાત દરમિયાન આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સુવિધા માત્ર હવાઈ માર્ગે ટ્રાન્ઝિટ (એક દેશથી બીજા દેશ જવા માટે ફ્રાન્સમાં થોભતા) મુસાફરો માટે જ લાગુ પડશે. બીજી તરફ, ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વ્યાપારિક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટેની કવાયત તેજ બની છે. તાજેતરમાં એક ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળ વોશિંગ્ટનની મુલાકાતે ગયું હતું, જ્યાં વ્યાપાર સમજૂતી અંગે સકારાત્મક ચર્ચાઓ થઈ હતી.
રણધીર જયસ્વાલે જણાવ્યું કે, બંને દેશો વર્ષ 2030 સુધીમાં પરસ્પર વેપારને 500 અબજ અમેરિકી ડોલર (આશરે રૂ. 42.60 લાખ કરોડ) સુધી લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. બંને પક્ષો એક એવા સમજૂતી પર કામ કરી રહ્યા છે જે ભવિષ્યલક્ષી હોય અને બંને દેશોને સમાન ફાયદો પહોંચાડે. આ વાતચીત અત્યારે પ્રોગ્રેસિવ સ્ટેજ પર છે. વિદેશ મંત્રાલયે જાપાનની સંરક્ષણ નીતિ અને ખાડી દેશોમાં ફસાયેલા ભારતીય જહાજોની સ્થિતિ અંગે પણ ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. મંત્રાલયે આશ્વાસન આપ્યું છે કે વિદેશમાં રહેલા ભારતીયો અને ભારતીય હિતોની સુરક્ષા માટે સરકાર સતત કાર્યરત છે.


