ગઢ આલા સિંહ ઘેલાઃ મધ્યપ્રદેશ ચૂંટણીમાં CM શિવરાજના મંત્રીમંડળના 12 મંત્રીઓનો થયો પરાજ્ય
ભોપાલઃ મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને બે તૃતિયાંશ બહુમતી મળી છે. મધ્યપ્રદેશમાં સત્તા જાળવી રાખવાની સાથે, ભાજપ તેના ધારાસભ્યોની સંખ્યા વધારવામાં સફળ રહી હતી, જ્યારે શિવરાજ સિંહ ચૌહાણની આગેવાની હેઠળના મંત્રીમંડળના 12 વર્તમાન મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો હતો. જેના અનેક દિગ્ગજ નેતાઓનો પણ સમાવેશ થાય છે.
હારનો સામનો કરનારા અન્ય અગ્રણી પ્રધાનોમાં અટેરથી અરવિંદ ભદોરિયા, હરદાથી કમલ પટેલ અને બાલાઘાટથી ગૌરીશંકર બિસેનનો સમાવેશ થાય છે. આ સિવાય હારેલા મંત્રીઓમાં બરવાનીથી પ્રેમ સિંહ પટેલ, બામોરીથી મહેન્દ્ર સિંહ સિસોદિયા, બદનાવરથી રાજવર્ધન સિંહ, ગ્વાલિયર ગ્રામીણથી ભરત સિંહ કુશવાહ, અમરપાટનથી રામખેલવાન પટેલ, પોહરીથી સુરેશ ધાકડ અને પરસવારાથી રામકિશોર કાવરેનો સમાવેશ થાય છે. અન્ય એક મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીના ભત્રીજા રાહુલ સિંહ લોધીને ખડગાપુરથી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ ઉપરાંત ભાજપ રેકોર્ડ મતો સાથે રાજ્યમાં સરકાર બનાવવા માટે તૈયાર છે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે બમ્પર જીત માટે જનતાનો આભાર માન્યો છે. તેમણે આ જીતનો શ્રેય પીએમ મોદીના નેતૃત્વને આપ્યો છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, “આ વખતની જીત ઘણી મોટી છે. કેટલાક લોકોએ કહ્યું કે સત્તા વિરોધી લહેર છે તો કેટલાકે કહ્યું કે ‘કાંટે કી ટક્કર હૈ પણ ના કાંતા મિલા ના ટક્કર‘.
મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાએ ક્લીનસ્વીપ કરીને સત્તા જાળવી રાખી છે. બીજી તરફ પરાજ્યનો સામનો કરનાર કોંગ્રેસ દ્વારા હારનું કારણ જાણવા માટે મનોમંથન શરુ કરવામાં આવ્યું છે.