ભાવનગરઃ અલંગમાં આવતા જહાજોમાંથી નિકળતી શિપની મશિનરી, પાર્ટ્સને રીકન્ડિશન્ડ કરી અને તેને જળ પરિવહન ક્ષેત્રે સંકળાયેલા જહાજોમાં પુન: વપરાશ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં મોટા-મોટા જહાજના માલીકો પણ અલંગની રીકન્ડિશન્ડ શિપ મશિનરી પર આધાર રાખે છે.
નેધરલેન્ડની શિપિંગ કંપનીના જણાવ્યા પ્રમાણે, અમારૂ જહાજ વિશ્વમાં ગમે ત્યાંથી પસાર થઇ રહ્યું હોય અને જહાજમાં કોઇ ખોટકો આવે તો તેના નવા પાર્ટ્સ, મશિનરી માટે ઉત્પાદકોનો સંપર્ક કરીએ તો હાજરમાં તે હોય નહીં, તેને બનાવવા પડે, તેમાં 6 થી 8 મહિનાનો સમય પણ લાગે અને ખૂબ ખર્ચાળ પણ હોય છે. પરંતુ જહાજની વપરાયેલી શિપ મશિનરી, પાર્ટ્સને રીકન્ડિશન્ડ કરી અને તેને જ્યાં જહાજ અટકાયેલું હોય ત્યાં ઓછા સમયમાં લગાડી શકાય છે, ઉપરાંત આવા પાર્ટ્સ, મશિનરી ઓરિજનલ હોય છે. અલંગની મશિનરીથી સમયની, નાણાની બચત થાય છે, અને જહાજ લાંબો સમય ઉભુ રાખવું પડતુ નથી.
અલંગમાંથી નિકળતી જહાજની મશિનરીને અહીંના ટ્રેડરો, એક્સપોર્ટરો પોતાના યાર્ડમાં લઇ જઇ, અને નિષ્ણાંત કર્મચારીઓ દ્વારા તેને ખોલી નાંખવામાં આવે છે, અને આખી મશિનરી રીકન્ડિશન્ડ કરવામાં આવે છે. આવી મશિનરી, પાર્ટ્સને દુનિયાના દરેક દરિયામાં ચાલતા જહાજોમાં ઉપયોગ કરવામાં આવે છે. શિપબ્રેકિંગના વ્યવસાય બાદ આ સૌથી મહત્વનો વ્યવસાય છે જે સમગ્ર વિશ્વને અલંગ સાથે જોડવાનું કામ કરે છે. જહાજો ઉપરાંત ભારતની મોટા ભાગની ઇન્ડસ્ટ્રીઝમાં જહાજમાંથી નિકળતા જનરેટરની માંગ મોટા પાયે રહે છે. આવા જનરેટરો દેશના ખૂણે ખૂણે પોતાની હાજરી નોંધાવી રહ્યા છે. ટુંકમાં ભાવનગરના અલંગ શિપબ્રેકિંગ યાર્ડ થકી દુનિયાના અનેક જહાજોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સાધનો મળી રહે છે.