ગુજરાતઃ GIDCમાં કામ કરતા શ્રમયોગીઓના રહેવાની સુવિધા પુરી પડાશે, શ્રમનિકેતન-હોસ્ટેલ ઉભી કરાશે
અમદાવાદઃ ગુજરાત સરકારે રાજયની ઔદ્યોગિક વસાહતોમાં રોજગારી મેળવતા શ્રમયોગીઓ અને તેમના આશ્રિતો માટે એક અભિનવ પહેલ કરી છે. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સંચાલિત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમનિકેતન યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે ઔદ્યોગિક વસાહતોમાં 15 હજારથી વધુ શ્રમિકો કાર્યરત હોય તેવી ઔદ્યોગિક વસાહતોમાં શ્રમયોગીઓને રહેવા માટે આવા શ્રમનિકેતન ઉભા કરવામાં આવશે.
ગુજરાતમાં મોટાપાયે કાર્યરત ઉદ્યોગોમાં રોજગારી માટે આવતા અન્ય રાજ્યોના શ્રમયોગીઓ સહિતના શ્રમયોગીઓને આવી શ્રમનિકેતન હોસ્ટેલ આવાસની સુવિધા પૂરી પાડશે. શ્રમયોગીઓના જીવનધોરણને ધ્યાને લેતા તેમની રહેવા માટેની મુશ્કેલી આવી હોસ્ટેલથી મહદઅંશે નિવારી શકાશે. ગુજરાતમાં આવા પ્રથમ શ્રમનિકેતનનો આરંભ કરવા માટે સાણંદ જી.આઇ.ડી.સી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન અને વેલ્ફેર કમિશનર, શ્રમયોગી કલ્યાણ બોર્ડ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં MoU સંપન્ન થયા હતા.
આ શ્રમયોગી હોસ્ટેલ ગ્રાઉન્ડ ફલોર ઉપરાંત 7 માળની બનશે અને 4138 સ્કવેર મીટરમાં નિર્માણ પામશે. શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર, મલ્ટીપરપઝ હોલ, ડાઇનીંગ હોલ જેવી અદ્યતન સુવિધા ધરાવતી આ હોસ્ટેલ-શ્રમનિકેતન અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે પીપીપી ધોરણે 28 મહિનામાં પૂર્ણ કરાશે. સાણંદ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના સહયોગથી નિર્માણ થનારી આ હોસ્ટેલમાં અંદાજે ૧ હજાર ઉપરાંત શ્રમયોગીઓ રહિ શકે તેવી વ્યવસ્થા કરાશે. સિંગલ ઓક્યુપન્સી, ડબલ ઓક્યુપન્સી તથા 4, 8, 12 અને 24 વ્યક્તિઓ રહિ શકે તેવા રૂમ બનાવાશે.