ગુજરાત બોર્ડની પરીક્ષાઃ વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી નિધન થતા શિક્ષણ જગતમાં ખળભળાટ, વાલીઓ ચિંતિત
અમદાવાદઃ ગુજરાતમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જ વર્ગ ખંડમાં ધો-12ના વિદ્યાર્થીને એટેક આવ્યા બાદ તેનું મોત થયું હતું. જેથી વિદ્યાર્થીઓ ઉપર અભ્યાસના ભારણને લઈને વાલીઓ અને શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ વિદ્યાર્થીઓને શિક્ષણનો આટલો ભાર ના આપવા અને બોર્ડની પરીક્ષાનો વિદ્યાર્થીઓમાં ભય ઉભો ન કરવો જોઈએ તેવુ તજજ્ઞો માની રહ્યાં છે. અમદાવાદના એક કેન્દ્રમાં શંકાસ્પદ હાર્ટ એટેકથી 17 વર્ષીય વિદ્યાર્થી અમન શેખનું દુ:ખદ મૃત્યુ થયું હતું. પરીક્ષા ખંડોમાં ચિંતા, ગભરાટ અને થોડી ઉત્તેજના જોવા મળી હતી કારણ કે કેટલાક વિદ્યાર્થીઓ બે વર્ષ પછી, ઑફલાઇન ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ આપવા માટે પાછા ફર્યા હતા.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSB) દ્વારા ચલાવવામાં આવતી હેલ્પલાઇનમાં છેલ્લા બે અઠવાડિયામાં લગભગ 3,500 કૉલ્સ નોંધાયા છે, જે દરરોજ સરેરાશ 250 કૉલ્સ છે. હેલ્પલાઈન પર ફોન કરનાર નર્વસ વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ “કંઈ યાદ રાખી શકતા નથી”. માર્ચ 2020 માં, જ્યારે રોગચાળો ત્રાટક્યો અને ગુજરાતમાંથી પ્રથમ કોવિડ -19 કેસ નોંધાયો, ત્યારે પરીક્ષાઓ ચાલુ હતી અને શાળાઓને શૈક્ષણિક વર્ષ 2019-2020 અને 2020-21 માટે બિન-બોર્ડ વર્ગો માટે વૈકલ્પિક ઓનલાઈન પરીક્ષાઓ લેવાનું કહેવામાં આવ્યું હતું. ગયા વર્ષે, રાજ્ય બોર્ડ દ્વારા પરીક્ષા ન લેવાના કારણે વિદ્યાર્થીઓને મોટા પાયે પ્રમોટ કરવામાં આવ્યા હતા. આમ, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે વધુ ચિંતા હતી જેઓ બે વર્ષના અંતરાલ પછી ઑફલાઇન પરીક્ષા આપી રહ્યા હતા. વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા ભયમુક્ત થઈને કોઈ પણ દબાણ વગર પરીક્ષા આપી શકે તેવો શિક્ષણ જગત અને વાલીઓએ માહોલ ઉભો કરવો જોઈએ તેવી માંગણી પણ ઉઠી છે.