નવી દિલ્હીઃ હરિયાણામાં સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી બસને અકસ્માત નડતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. માર્ગ અકસ્માતની આ ઘટનામાં 6 બાળકોના કરૂણ મોત થયાં હતા. જ્યારે 15થી વધારે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, હરિયાણામાં મહેન્દ્રગઢના કનિનાના ઉન્હાની ગામ પાસે એક સ્કૂલ બસ પલટી જતાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 બાળકોના મોત થયા હતા અને 15 ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી હતી. જીએલપી સ્કૂલ કનિનાની બસમાં સેહલાંગ, ખેડી-તલવાણા, ખરકડા બસ, ધનૌંડા ગામથી 43 જેટલા બાળકો સવાર હતા. આ પછી, લગભગ 8:30 વાગ્યે જ્યારે તે ઉન્હાની ગામ પાસે આવેલી કોલેજ પાસે પહોંચી, ત્યારે વળાંક પર ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો અને બસ ઝાડ સાથે અથડાઈને પલટી ગઈ હતી. બસ ડ્રાઈવર દારૂના નશામાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ દરમિયાન આસપાસના લોકો અને રોડની બંને બાજુએથી આવતા ડ્રાઈવરોએ બાળકોને બસમાંથી બહાર કાઢીને તેમના વાહનોમાં હોસ્પિટલ લઈ ગયા હતા. અકસ્માતના અડધા કલાકમાં જ 300થી વધુ લોકો મદદ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો હતો.
બાળકોને કનિનાની ખાનગી અને સબ-સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે ચાર બાળકોને મૃત જાહેર કરાયા હતા જ્યારે અકસ્માતના એક કલાક બાદ ગંભીર રીતે ઘવાયેલા બે બાળકોનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત બાદ ચાર બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બસ ડ્રાઈવર ધર્મેન્દ્ર રહેવાસી સેહલાંગને મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મહેન્દ્રગઢ લઈ જવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ઝાડલીના રહેવાસી યક્ષુ, સત્યમ અને સંદીપ, ધનૌંડાના રહેવાસી વંશ અને દુષ્યંત અને યુવરાજનું મોત થયું છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકોને રેવાડી મહેન્દ્રગઢની કનિનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.