1. Home
  2. ગુજરાતી
  3. જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિન્દુ પક્ષની જીત, કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી
જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિન્દુ પક્ષની જીત, કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી

જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિન્દુ પક્ષની જીત, કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી

0
Social Share

લખનૌઃ જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વારાણસી કોર્ટે હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે અંજુમન ઈન્તેજામિયા કમિટીની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે પાંચ મહિલા હિન્દુ પક્ષકારોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી વિવાદ કેસમાં ચુકાદો સંભળાવતી વખતે જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશની સિંગલ બેન્ચે આ મામલાને સાંભળવા યોગ્ય ગણાવ્યો છે. જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે, કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે કેસ વિચારણીય છે. કેસની આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે થશે. જ્ઞાનવાપી મસ્જિદ કેસના અરજીકર્તા સોહન લાલ આર્યએ કહ્યું કે, આ હિંદુ પક્ષની જીત છે. તે જ્ઞાનવાપી મંદિરનો પાયાનો પથ્થર છે.

હિંદુ પક્ષ વતી જ્ઞાનવાપી સંકુલમાં આવેલા શ્રૃંગાર ગૌરી સહિત અન્ય ધાર્મિક સ્થળોએ નિયમિત પૂજા કરવાની પરવાનગીની માંગણી કરવામાં આવી હતી. બીજી તરફ મુસ્લિમ પક્ષે આ કેસને ના મંજૂર રાખવાની માંગણી કરી હતી. મુસ્લિમ પક્ષની દલીલને નકારી કાઢતા કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, આ મામલાની સુનાવણી સિવિલ પ્રોસિજર કોડના ઓર્ડર હેઠળ થઈ શકે છે. બીજી તરફ અરજદાર મંજુ વ્યાસે કહ્યું કે, આજે સમગ્ર ભારત ખુશ છે. મારા હિન્દુ ભાઈઓ અને બહેનોએ ઉજવણી કરવા માટે દીવાઓ પ્રગટાવા જોઈએ.

દિલ્હીની રાખી સિંહ અને વારાણસીની ચાર મહિલાઓએ ગયા વર્ષે સિવિલ જજ સિનિયર ડિવિઝન રવિ કુમાર દિવાકરની કોર્ટમાં અરજી દાખલ કરીને જ્ઞાનવાપી મસ્જિદની બહારની દિવાલ પર સ્થિત હિંદુ દેવી-દેવતાઓની દરરોજ પૂજા કરવાની માંગણી કરી હતી. કોર્ટના નિર્દેશ અનુસાર ગયા મે મહિનામાં જ્ઞાનવાપી કેમ્પસનો વીડિયોગ્રાફી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. દરમિયાન, મુસ્લિમ પક્ષે આ સર્વેક્ષણને પૂજા અધિનિયમ 1991નું ઉલ્લંઘન ગણાવીને તેની પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે કોર્ટે વીડિયોગ્રાફી સર્વે પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ કેસને જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.

જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ ગત 19 મેના રોજ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન હિંદુ પક્ષે જ્ઞાનવાપી મસ્જિદના વજુ ખાનામાં શિવલિંગ હોવાનો દાવો કર્યો હતો, જ્યારે મુસ્લિમ પક્ષે તેને ફુવારો હોવાનું જણાવ્યું હતું. આ બાબતને પ્લેસ ઓફ વર્શીપ એક્ટ વિરુદ્ધ ગણાવતા મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે આ મામલો સુનાવણી માટે યોગ્ય નથી. જિલ્લા ન્યાયાધીશે આ સંદર્ભે દાખલ કરાયેલી અરજી પર પહેલા સુનાવણી કરવાનો નિર્ણય લીધો હતો. આ કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. હિંદુ પક્ષનો દાવો છે કે મુસ્લિમ પક્ષ ઘણા જૂના દસ્તાવેજો રજૂ કરી રહ્યું છે જે આ બાબત સાથે સંબંધિત નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code