1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધોરણ 5 અને 8માં 35 માર્કસથી ઓછા હશે તો નાપાસ કરાશે, વર્ગ બઢતીનો લાભ નહીં મળે,
ધોરણ 5 અને 8માં 35 માર્કસથી ઓછા હશે તો નાપાસ કરાશે, વર્ગ બઢતીનો લાભ નહીં મળે,

ધોરણ 5 અને 8માં 35 માર્કસથી ઓછા હશે તો નાપાસ કરાશે, વર્ગ બઢતીનો લાભ નહીં મળે,

0
Social Share

ગાંધીનગરઃ  ગુજરાતની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં ધો.1થી 8માં વર્ગ બઢતીના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પછી ધો.5 અને 8માં વિદ્યાર્થીઓને 35 માર્કસથી ઓછા હોય તો નાપાસ કરવામાં આવશે. આ નિર્ણય વર્ષ 2019માં લાગુ કરવાનું નક્કી કરાયું હતું પરંતુ કોરોના મહામારીના કારણે હવે આ સત્રથી તેનો અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ કોઈપણ વિષયમાં 35 કરતા ઓછા ગૂણ મેળવશે તે નાપાસ કરાશે.જો કે નાપાસ થયેલા વિદ્યાર્થીને બે મહિના બાદ ફરી પરીક્ષા આપવાનો મોકો અપાશે તેમાં પણ નાપાસ થશે તો જે વર્ગમાં ફરીવાર વર્ષ રિપિટ કરવું પડશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણનીતિનો અમલ શરૂ થઈ જશે. પરંતુ ચાલુ શૈક્ષણિક સત્રથી વર્ગ બઢતીના નિયમો પણ બદલાઈ જશે. અગાઉ રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ લાગુ કરાયા બાદ વર્ષ 2012થી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની વર્ગ બઢતી નહીં રોકવાનો નિર્ણય કરાયો હતો. આ નિર્ણયના કારણે વર્ષ 2012થી લઇને પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવનારા તમામ વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવતાં નહોતા. હોશિયાર વિદ્યાર્થીઓની સાથે સાથે જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં નબળા હતા તેમને પણ આગળના વર્ષમાં મોકલી દેવામાં આવતાં હતા. જેની સીધી અસર હાયર એજ્યુકેશનમાં જોવા મળતી હતી. આ મુદ્દે શિક્ષણવિદોની ફરિયાદ અને રજૂઆતના આધારે વર્ષ 2019માં જ ધો.5 અને 8માં નબળા વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં પ્રવેશ ન આપવાનો નિર્ણય કરાયો હતો. જોકે, વર્ષ 2020માં જ કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓને ઘરે બેઠાં અભ્યાસ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતુ. જેના કારણે શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ થતાં રાજ્યમાં તમામ વર્ષના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની ફરજ પડી હતી. આમ, સરવાળે સરકારે નક્કી કરેલી પોલિસી લાગુ કરવામાં આવી નહોતી. હવે રાજયમાં કોરોના મહામારીની અસર પૂરી થઇ ચૂકી છે આ સ્થિતિમાં ફરીવાર આ પોલિસી લાગુ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વર્ષ 2022-23માં અગાઉની જેમ જ વિદ્યાર્થીઓ શાળાઓમાં જઇને અભ્યાસ કરી રહ્યા છે આ સ્થિતિમાં હવે નબળા વિદ્યાર્થીઓને પણ આગળના વર્ગમાં જવા દેવામાં આવે તો અનેક પ્રકારની મુશ્કેલી થાય તેમ હોવાથી નવી પોલિસી લાગુ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ધો.5 અને ધો.8માં જે વિદ્યાર્થીઓને 35 ટકા કરતાં ઓછા માર્કસ હોય તેમને વર્ગ બઢતી રોકવામાં એટલે કે નાપાસ કરવામાં આવશે. આ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે માસમાં વધારાની પરીક્ષા આપવાની રહેશે. જોકે, વધારાની પરીક્ષામાં પણ આ વિદ્યાર્થીઓ નાપાસ થાય તો તેમને જે તે વર્ગમાં જ રાખવામાં આવશે તેવો નિર્ણય કરી દેવામાં આવ્યો છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code