મિલકતમાં લાલચમાં 20 વર્ષમાં આરોપીએ મોટાભાઈ અને તેના પરિવારના 4 વ્યક્તિઓની એક પછી એક કરી હત્યાં
દિલ્હીઃ ગાઝિયાબાદના મુરાદનગર વિસ્તારના બસંતપુર સેંથલી ગામમાં લીલૂ ત્યાગી નામના એક શખ્સએ સંપત્તિની લાલચમાં પોતાના પરિવારના પાંચ લોકોની ઠંડા કલેજે હત્યા કરી હતી. તેણે 20 વર્ષમાં એક-એક એમ પાંચ વ્યક્તિઓની હત્યાને અંજામ આપ્યો હતો. સૌ પ્રથમ પહેલા મોટાભાઈની હત્યા કરી હતી. તે બાદ ભત્રીજો અને બે ભત્રીજીઓની હત્યા કરી હતી. ચોંકાવનારી વાત એ છે, આટલા વર્ષોથી એક પછી એક હત્યા થઈ અને કોઈને શંકા ગઈ ન હતી અને પાંચ હત્યામાંથી એકનો પણ ગુનો પોલીસ સ્ટેશનમાં નોંધાયો નથી. હવે તેણે અન્ય ભત્રીજાનું અપહરણ કરીને તેની હત્યા કરી હતી. એટલું જ નહીં લાશ પહાસુ લઈને ગંગનહરમાં ફેંકી દીધી હતી. આરોપી અને તેના બે સાગરિતોની પોલીસે ધરપકડ કરી છે.
લીલૂની પૂછપરછના આધારે પોલીસે આરોપીના ભત્રીજાની લાશની શોધખોળ આરંભી છે. તેમજ બુલંદશહેર પોલીસની પણ મદદ લેવામાં આવી છે. સેંથલી ગામમાં બ્રિજેશના એકમાત્ર દીકરો રેશુ અચાનક ગુમ થયો હતો. પરિવારજનોએ તેની ભારે શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો નહીં લાગતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. રેશુની તપાસમાં પોલીસને કોઈ સફળતા મળી ન હતી. જે બાદ પોલીસે ઈલેક્ટ્રોનિક સર્વિલાન્સ અને અન્ય ટેકનોલોજીની મદદથી તપાસ શરૂ કરી હતી.
રેશુના અપહરણના કેસમાં બ્રિજેશના નાનાભાઈ લીલૂની સંડોવણી સામે આવી હતી. તેમજ કેટલાક પુરાવા પણ મળ્યા હતા. જેથી પોલીસે તેની અટકાયત કરી હતી. પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો. તેણે રેશનું હત્યાની કબુલાત કરી હતી. તેમજ આ પ્રકરણમાં સુરેન્દ્ર, વિક્રાંત અને તેના ભત્રીજા મુકેશ તથા રાહુલની સંડોવણી સામે આવી હતી. પહેલા રેશુનું અપહરણ કરીને તેની હત્યા કરી હતી. તેમજ તેની લાશને બુલંદશહરના પહાસુની કેનાલમાં નાખી દીધી હતી.
રેશુની હત્યા કેસમાં લીલૂ સાથે સંડોવાયેલો સુરેન્દ્ર યુપી પોલીસમાંથી બે વર્ષ પહેલા જ નિવૃત્ત થયો હતો. પોલીસે રેશુની લાશની શોધખોળ આરંભી છે. તેમજ વિક્રાંત અને મુકેશને ઝડપી લેવાની કવાયત શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર લીલૂએ 20 વર્ષ પહેલા પોતાના મોટાભાઈ સુધીરની હત્યા કરી હતી. તેમજ તેની લાશને નદીમાં ફેંકી દીધી હતી. જે બાદ તેણે મોટાભાઈ સુધીરની પત્ની સાથે સાથે લગ્ન કરીને ભત્રીજી પાયલ અને પારુલને પોતાની સાથે જ રાખતો હતો. જે બાદ તેણે પાયલને ઝેર આપીને તેની હત્યા હતી. ત્રણ વર્ષ બાદ પારૂલની પણ હત્યા કરી હતી. તે પખતે પારૂલ ક્યાંક ચાલી ગઈ હોવાનું જણાવ્યું હતું. બંને ભત્રીજીઓની લાશને પણ નદીમાં ફેંકી દીધી હતી.
ત્રણ હત્યા બાદ તેણે સુધીરની સંપત્તિ ઉપર કબજો જમાવ્યો હતો. તેમજ તેની જમીન વેચીને પ્રોપર્ટીનો વ્યવસાય શરૂ કર્યો હતો. મોટાભાઈ સુધીરની હત્યા કર્યા બાદ અન્ય ભાઈ બ્રિજેશની હત્યા કરીને તેની સંપતિ પણ પચાવી પાડવાનું કાવતરુ ઘડ્યું હતું. આરોપીએ આઠ વર્ષ પહેલા બ્રિજેશના મોટા દીકરાનું અપહરણ કરીને તેની લાશને પણ નદીમાં ફેંકી દીધી હતી.જે બાદ અન્ય ભત્રીજા રેશનું અપહરણ કરીને હત્યા કરી હતી. આરોપીઓએ બ્રિજેશ અને તેની પત્નીની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું.