અમદાવાદમાં AMCએ કોરોનાકાળમાં ટેસ્ટીંગ માટે રૂ. 141 કરોડની એન્ટિજન કીટ ખરીદી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘડ્યું છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાની રસીકરણનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયાં છે. અમદાવાદમાં પોઝિટિવ કેસ શોધવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના ટેસ્ટીંગ માટે એન્ટિજન કીટ ખરીદવામાં રૂ. 141 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે.
આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોરોનાના કેસ વઘતા તંત્ર સફાળુ જાગ્યું હતું. અમદાવાદમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવતા મનપાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું. તેમજ પોઝિટિવ કેસને શોધી કાઢવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. મનપા તંત્ર દ્વારા ઘરે-ઘરે સર્વે શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ વિસ્તારોમાં તંબુ બાંધીને મોટી સંખ્યામાં ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યાં હતા. અમદાવાદમાં લાખો લોકોનાના નિશુક્લ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.
મનપા દ્વારા શહેરીજનોના કોરોના ટેસ્ટ માટે રૂ. 141 કરોડની 35 લાખ જેટલી એન્ટિજન કીટ ખરીદવામાં આવી હતી. આ અંગેનો ખુલાસો એક આરટીઆઈમાં થયો છે. બે કંપનીઓ પાસેથી એન્ટિજન કીટ ખરીદવામાં આવી હતી અને એક એન્ટિજન કીટની કિંમત અંદાજે રૂ. 400 જેટલી થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં હાલ કોરોનાની રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ ઘટતા કોવિડની ખાનગી હોસ્પિટલમાં મોટાભાગના બેડ ખાલી છે. એટલું જ નહીં સરકારી હોસ્પિટલમાં અનેક બેડ ખાલી છે. આમ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટતા મનપા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.