1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાલનપુરમાં માત્ર ત્રણ ઈંચ વરસાદમાં જ રોડ-રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાયાં
પાલનપુરમાં માત્ર ત્રણ ઈંચ વરસાદમાં જ રોડ-રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાયાં

પાલનપુરમાં માત્ર ત્રણ ઈંચ વરસાદમાં જ રોડ-રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાયાં

0
Social Share

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાનું આગમન થતાં ખેડુતો ખૂશખૂશાલ બન્યા છે. બનાસકાંઠાના કેટલાક તાલુકામાં વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે, જેમાં પાલનપુરમાં આજે શુક્રવારે વહેલી સવારથી વરસાદ પડતાં પાલનપુરના મોટા ભાગના વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયાં હતાં તેમજ કેટલાંક ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતા, જેથી ઘરમાં પડેલા સામાન કરિયાણું, ઘરવખરી, કપડાં પાણીમાં પલળી ગયાં હતાં. જિલ્લામાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં દાંતામાં 79 મિ.મી, વડગામમાં 78 મિ.મી, પાલનપુરમાં 76 મિ.મી, ડીસામાં 57 મિ.મી, દીયોદરમાં 11 મિ.મી વરસાદ નોંધાયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં આજે શુક્રવારે વહેલી સવારે 6થી 8 વાગ્યા દરમિયાન પડેલા વરસાદના આંકડા જોઈએ તો દાંતામાં 71 મિમી, પાલનપુરમાં 75 મિમી, વડગામમાં 20 મિમી, ડીસામાં 57 મિમી, દિયોદરમાં 09 મિમી વરસાદ નોંધાયો હતો. પાલનપુરમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે, જેમાં શહેરના અમુક વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાયાં છે. ટેલિફોન એક્સચેન્જ, બ્રિજેશ્વર કોલોની, ગણેશપુરા, આંબાવાડી, ગાંઠામણ પાટિયા, આબુ હાઇવે મફતપુરા સહિતના વિસ્તારમાં ઢીંચણ સમાં પાણી ભરાયાં હતાં તેમજ કેટલાંક ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં.

દર વર્ષે ચોમાસાની ઋતુમાં પાલનપુરના મફતપુરા વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જવાને કારણે ત્યાં રહેતા લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં હોય છે, જેથી લોકોની ઘરવખરી પણ પાણીમાં ગરકાવ થઈ જવાથી દર વર્ષે ભારે નુકસાન ભોગવવાનો વારો આવે છે. પાલનપુરમાં વરસાદને પગલે મફતપુરા વિસ્તારમાં પાણી ઘૂસ્યાં હતા. જોકે પાલિકા દ્વારા આગાઉથી પ્રી-મોન્સૂન પ્લાનની તૈયારી આદરી દેવામાં આવી હતી. તેમ છતાં વરસાદ આવતાં જ પાલિકાની પોલ ખૂલી ગઈ હતી, જેનું સ્થાનિક લોકોને ભોગવવું પડી રહ્યું છે.

પાલનપુર મફતપુરા વિસ્તારના અગ્રણી મજર કુરેશીએ જણાવ્યું હતું કે આજે ધોધમાર વરસાદ પડતાં સમગ્ર મફતપુરા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કોર્પોરેટ નગરપાલિકા કે વહીવટી તંત્ર અહીં દેખાવા આવ્યાં નથી. સમગ્ર વિસ્તારની ઝૂંપડપટ્ટીનો તમામ સમાન- કરિયાણું, ઘરવખરી, કપડાં પાણીમાં ગરકાવ થઇ ગયાં છે. ખોબલે ખોબલે વોર્ટ આપ્યા છતાંય આ વિસ્તારમાં આટલી હાલાકી ભોગવવી પડી રહી છે. ગત વર્ષે વરસાદી પાણીની પાઇપલાઈન મંજૂર થઈ ગઈ હોવા છતાં કોર્પોરેટરો આ વિસ્તારની પાઇપલાઈનનું કામ ન કરાવી શકતાં હોય તો તેમણે રાજીનામું મૂકી દેવું જોઈએ.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code