રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે મહાસાગર એકેડેમીનું ઉદ્ઘાટન, દરિયાઈ સુરક્ષા અને કાયદા ક્ષેત્રે ભારતનું નવું કદમ
ગાંધીનગર, 22 એપ્રિલ 2026: ગુજરાતની ધરતી પરથી ભારતના દરિયાઈ વિઝનને વધુ મજબૂત કરવાના હેતુથી ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ‘મહાસાગર એકેડેમી’નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારતીય મેરીટાઇમ યુનિવર્સિટી સાથેની ભાગીદારીમાં શરૂ થયેલી આ એકેડેમી શિક્ષણ, સંશોધન અને નીતિ નિર્ધારણ માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે.
આ પ્રસંગ્રે મુખ્ય મહેમાન વાઇસ એડમિરલ બિસ્વજીત દાસગુપ્તાએ જણાવ્યું હતું કે, “દરિયાઈ સુરક્ષા એ માત્ર લશ્કરી બાબત નથી, પરંતુ તે દેશની આર્થિક શક્તિ સાથે જોડાયેલી છે.” તેમણે હિંદ મહાસાગરમાં વધતા સાયબર હુમલા, ગેરકાયદેસર માછીમારી અને સપ્લાય ચેઇન સામેના પડકારોનો સામનો કરવા માટે ટેકનોલોજી અને એઆઈ (AI)ના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.
ITLOSના પ્રમુખ ન્યાયાધીશ ટોમસ હૈદરે જણાવ્યું હતું કે સમુદ્રમાં કાયદાનું શાસન શાંતિપૂર્ણ સહયોગ માટે અનિવાર્ય છે. તેમણે ૨૦૨૪ના ઐતિહાસિક સલાહકાર અભિપ્રાયનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન એ પણ દરિયાઈ પર્યાવરણનું પ્રદૂષણ છે અને સંયુક્ત રાષ્ટ્ર સંમેલન આ પર્યાવરણીય પડકારોને પહોંચી વળવા સક્ષમ છે. ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી (ITLOS) ના ઉપપ્રમુખ ન્યાયાધીશ નીરુ ચઢ્ઢાએ દરિયાઈ વિવાદોના ઝડપી નિકાલ અને તાત્કાલિક ન્યાયિક પ્રક્રિયાઓ વિશે સમજ આપી હતી, જે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશો વચ્ચે વિશ્વાસ જાળવવામાં મદદરૂપ થાય છે.
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. બિમલ એન. પટેલે આ એકેડેમીને વડાપ્રધાનના વિઝનથી પ્રેરિત ગણાવી હતી. તેમણે ઉમેર્યું કે, “મહાસાગર એકેડેમી એ વર્ગખંડ અને દરિયાકાંઠા, તથા સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેના સેતુ સમાન છે.” આ એકેડેમી દરિયાકાંઠાની સુરક્ષા, બંદર સુરક્ષા અને દરિયાઈ ઓપરેશન્સ માટે સક્ષમ માનવબળ તૈયાર કરશે. રીઅર એડમિરલ શ્રીતાનુ ગુરુ અને શિપિંગ મહાનિર્દેશાલયના સતીશ ડી. કામથે પણ આ પહેલને સમયસરની ગણાવી ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા માટે મહત્વની ગણાવી હતી.
વધુ વાંચો: ચૂંટણી પંચે IEVPનો બીજો તબક્કો શરૂ કર્યો, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે ઉદ્ઘાટન કર્યું


