1. Home
  2. ગુજરાતી
  3. ઈંગ્લેન્ડના પ્રવાસે ભારતીય ટીમઃ WTC ફાઈનલ બાદ ભારતીય ટીમને બાયો બબલમાં મળશે રાહત

ઈંગ્લેન્ડના પ્રવાસે ભારતીય ટીમઃ WTC ફાઈનલ બાદ ભારતીય ટીમને બાયો બબલમાં મળશે રાહત

0
Social Share

દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ભારત અહીં ન્યૂઝીલેન્ડ સાથે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમાશે. તેમજ ઈંગ્લેન્ડ સાથે ટેસ્ટ સીરિઝ રમશે. હાલ ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં ક્વોરન્ટીન છે. જો કે, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ બાદ ભારતીય ટીમને 20 દિવસ માટે બાયોબબલમાંથી રાહત મળશે. જેથી ભારતીય ટીમ બહાર ફરી શકશે. જો કે, કેટલાક નિયમોનું પાલન કરવું પડશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન વિરાટ કોહલીની આગેવાની હેઠળ તાજેતરમાં ઈંગ્લેન્ડ પહોંચી હતી. તા. 18મી જૂનથી સાઉથેમ્પટનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમાશે. હાલ કોરોના મહામારીને પગલે ભારતીય ટીમ ક્વોરન્ટીન છે. જેથી તેમને કોઈને મળવાની મંજૂરી નથી. આગામી દિવસોમાં ભારતીય ટીમ પ્રેકટીસ શરૂ કરશે.

ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ બાદ ભારતીય ખેલાડીઓને બાયો બબલમાંથી 20 દિવસ માટે બહાર નીકળવાની છૂટ મળશે. આ દરમિયાન તેઓ ઈંગ્લેન્ડમાં હરી ફરી પણ શકશે. જોકે આ દરમિયાન કેટલાક નિયમોનુ ખેલાડીઓએ પાલન કરવાનુ રહેશે. તા.14 જુલાઈથી ફરી તેમને બાયો બબલમાં જવુ પડશે. ભારતીય ટીમનો આ ઈંગ્લેન્ડ પ્રવાસ 3 મહિના ચાલવાનો છે અને સપ્ટેમ્બરમાં પ્રવાસ પૂરો થશે.

ઈંગ્લેન્ડ સામે સિરિઝ પૂરી કર્યા બાદ ખેલાડીઓએ સીધા યુએઈ જવાનુ છે. જ્યાં તેમને આઈપીએલની બાકીની મેચોમાં ભાગ લેવા માટે ફરી હોટલોમાં પૂરાઈ રહેવુ પડશે અને ત્યાં પણ બાયો બબલમાં રહેવુ પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડની ટીમ અગાઉથી જ આવી પહોંચી હતી. તેમજ હાલ ઈંગ્લેન્ડ સાથે ટેસ્ટ સિરીઝ રમી રહી છે. જેથી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં તેનો ફાયદો ન્યૂઝીલેન્ડને થવાનું મનાઈ રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code