- UAEમાં શરણ લીધા બાદ અશરફ ગનીનું પ્રથમ નિવેદન સામે આવ્યું
- મારી પાસે ચપ્પલ બદલવાનો પણ સમય ન હતો
- હું કોઇ રૂપિયા કે સંપત્તિ લઇને નથી ભાગ્યો
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના ખોફ બાદ પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડીને ભાગવુ પડ્યુ હતું અને હવે તેઓને UAEએ શરણ આપી છે. અશરફ ગનીનું UAEમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. UAEથી તેમણે અફઘાનિસ્તાનના નાગરિકો માટે પ્રથમ સંદેશો મોકલ્યો છે. દેશ છોડીને ભાગવાના આરોપોને તેમણે નકારીને માત્ર અફવા ગણાવી છે. તેમણે કહ્યું કે, 4 કાર અને રૂપિયાથી ભરેલા હેલિકોપ્ટર લઇને ભાગવાની વાત ખોટી છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, કાબુલ ફક્ત માર-કાટથી બચવા માટે છોડ્યું છે. ગનીએ જણાવ્યું કે, તેમની પાસે શૂઝ બદલવાનો પણ સમય ન હતો. એ દિવસે તે રાષ્ટ્રપતિ ભવનથી એજ સેન્ડલ પહેરીને નીકળ્યા હતા જે તેમણે તે દિવસે પહેરી રાખ્યા હતા.
ગનીએ જણાવ્યુ કે એ વાત પર વિશ્વાસ ન કરો જેમાં તમને જણાવવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિએ તમને વેચી નાખ્યા અને ફાયદા અને પોતાનો જીવ બચાવવા માટે ભાગી ગયા. તેમણે કહ્યુ કે આ બધા આરોપો નિરાધાર છે અને હુ તે બધાનું ખંડન કરુ છુ. મારી પાસે અફઘાનિસ્તાન છોડતી વખતે એટલો પણ સમય ન હતો કે હુ ચંપલ બદલીને શૂઝ પહેરુ.
UAEના વિદેશ મંત્રાલયે પણ આ વાતની પુષ્ટિ કરી છે કે માનવીય આધાર પર રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના પરિવારનું દેશમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આની પહેલા તે ક્યાં હતા તેને લઇને કોઇ સ્પષ્ટ જાણકારી નથી.
અશરફ ગનીએ વધુમાં કહ્યું હતું કે, તેમને દુબઇમાં નથી રહેવું અને તે ઘર વાપસી માટે વાતચીત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, જો હું ત્યાં રહેતો તો એક નિર્વાચિત રાષ્ટ્રપતિને અફઘાનોની નજર સમક્ષ ફરીથી ફાંસી આપવામાં આવતી.