- તાલિબાનીઓના પાપે ભારતે ભોગવવું પડશે
- તાલિબાનીઓએ ભારત-અફઘાનિસ્તાન વચ્ચે આયાત-નિકાસ પર પ્રતિબંધ મૂક્યો
- તેને કારણે ડુંગળી અને સુકામેવા પણ મોંઘા થશે
નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ હવે તાલિબાનીઓના પાપે ભારતને પણ ભોગવવું પડશે. હકીકતમાં, તાલિબાને એવો નિર્ણય લીધો છે જેને લીધે ભારતને મોટું નુકસાન થશે. અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે વર્ષોથી વ્યાપારિક સંબંધો રહ્યા છે, જો કે અફઘાનમાં તખ્તાપલટ બાદ હવે જ્યારે તાલિબાન રાજ આવી ગયું છે ત્યારે તાલિબાને ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના આયાત-નિકાસ વ્યાપાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. જેનાથી ભારતીય માર્કેટ સીધુ જ પ્રભાવિત થશે. જો કે, ભારત હજુ પણ તાલિબાન પ્રત્યેની પોતાની નીતિ પર અવઢવમાં છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ડૉ. અજય સહાયે જણાવ્યું કે, તાલિબાનીઓએ કાર્ગોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. આ વેપાર પાકિસ્તાનના પરિવહન માર્ગ દ્વારા કરવામાં આવતો હતો. ટ્રાન્ઝિટ મૂવમેન્ટ પર પ્રતિબંધથી અફઘાનિસ્તાનથી આયાત-નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે.
અજય સહાયે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનથી આયાત પાકિસ્તાનના પરિવહન માર્ગ દ્વારા થતી હતી. અત્યારે તાલિબાનોએ પાકિસ્તાનમાં કાર્ગોની અવર જવર પર પ્રતિબંધ મૂક્યો છે. અમે જોઈ રહ્યા છીએ કે તાલિબાન શાસકો કેવા નિર્ણયો લઈ રહ્યા છે.
નોંધનીય છે કે, ભારતે અફઘાનિસ્તાનને 835 મિલિયન ડોલરની નિકાસ કરી છે. આ સમયગાળા દરમિયાન, ભારતે અફઘાનિસ્તાનમાંથી 510 મિલિયન ડોલરની આયાત પણ કરી છે. વેપાર ઉપરાંત ભારતે 3 અબજ ડૉલર એટલે કે લગભગ 22 હજાર કરોડ રૂપિયાનું વિશાળ રોકાણ કર્યું છે. અફઘાનિસ્તાનમાં આવા અંદાજે 400 પ્રોજેક્ટ છે, જ્યાં ભારતનું રોકાણ કરવામાં આવ્યું છે.