
લો બોલો, માણસોની જેમ હાથીઓ પણ ડિપ્રેશનનો બને છે ભોગ
આજના સમયમાં માનવીઓ માટે હતાશા, ચિંતા અને એકલતાનો અનુભવ કરવો સામાન્ય છે. પણ જો અમે તમને કહીએ કે હાથીઓને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. એક સંશોધનમાં હાથી પણ માણસોની જેમ ડિપ્રેશનનો ભોગ બનતા બોવાનું સામે આવ્યું છે.
હાથીઓને પણ માણસોની જેમ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમાં હતાશા, ચિંતા અને એકલતાનો પણ સમાવેશ થાય છે.
હાથીઓને પૃથ્વી પરનું સૌથી ભારે અને મજબૂત પ્રાણી માનવામાં આવે છે. પરંતુ હાથીઓ અંદરથી ખૂબ જ નરમ દિલના હોય છે.
હકીકતમાં, ફિનલેન્ડની તુર્કુ યુનિવર્સિટીના સંશોધકોએ તેમના સંશોધનમાં સમજાવ્યું છે કે હાથીઓ તણાવ, ચિંતા અને હતાશાથી કેમ પીડાય છે. આ માટે ફિનિશ વૈજ્ઞાનિકોએ મ્યાનમારના હાથીઓ પર સંશોધન કર્યું છે. એશિયન હાથીઓ પર કરવામાં આવેલા સંશોધન મુજબ, તેમના મળની તપાસ કરીને તણાવ હોર્મોન્સનું સ્તર માપવામાં આવ્યું છે.
સંશોધન અહેવાલો અનુસાર, નર અને માદા હાથીઓમાં તણાવ વધવાના કારણો અલગ અલગ છે. નર હાથીઓમાં તણાવનું સૌથી મોટું કારણ એકલતા છે. તે જ સમયે, માદા હાથી જ્યારે તેનું બાળક પોતાની સાથે રાખે છે ત્યારે તેનો તણાવ ઓછો થાય છે. સંશોધકો કહે છે કે જ્યારે હાથીઓ તણાવમાં હોય છે, ત્યારે તેની તેમના મગજ પર નકારાત્મક અસર પડે છે. સંશોધક ડૉ. માર્ટિન સેલ્ટમેનના મતે, માણસોની જેમ, હાથીઓમાં પણ મિત્રોનો સાથ તેમને ખુશ રાખે છે. સંશોધન દર્શાવે છે કે જે હાથીઓના મિત્રો નહોતા તેમના મળમાં તણાવ હોર્મોન્સનું સ્તર વધુ હતું.