
દેશના 50માં CJI બનશે જસ્ટિસ ચંદ્રચુડ, CJI યુયુ લલિતે સરકારને નામની કરી ભલામણ
દિલ્હી: જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ હશે. વર્તમાન ચીફ જસ્ટિસ યુયુ લલિતે પોતાના અનુગામી એટલે કે દેશના આગામી સીજેઆઈ તરીકે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નામની કેન્દ્ર સરકારને ભલામણ કરી છે. કેન્દ્રને પત્ર મોકલતા પહેલા ચીફ જસ્ટિસ યુયુ લલિતે આજે સુપ્રીમ કોર્ટના તમામ જજોની બેઠક બોલાવી હતી. પરંપરા મુજબ, દેશના વર્તમાન CJI સરકારને તેમના અનુગામીની ભલામણ કરતો ઔપચારિક પત્ર મોકલે છે.
હકીકતમાં, કેન્દ્ર સરકારે CJI યુયુ લલિતને આગામી CJIના નામની ભલામણ કરવા કહ્યું હતું. યુયુ લલિતનો કાર્યકાળ 8 નવેમ્બર સુધીનો છે.પરંપરા મુજબ, CJI સરકારને બીજા સૌથી વરિષ્ઠ ન્યાયાધીશના નામની ભલામણ કરે છે.હાલમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ જસ્ટિસ યુયુ લલિત પછી બીજા સૌથી વરિષ્ઠ જજ છે.
આ એક પ્રકારની પરંપરા છે, જે મુજબ મુખ્ય ન્યાયાધીશ, કેન્દ્ર તરફથી ઔપચારિક વિનંતી પ્રાપ્ત કરીને, તેમની નિવૃત્તિના લગભગ એક મહિના પહેલા સીલબંધ કવરમાં તેમના અનુગામીના નામની ભલામણ કરે છે. જો કે, મુખ્ય ન્યાયાધીશ તેમના પછીના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશના નામની ભલામણ કરે છે, ત્યારબાદ સરકાર તેમની નિમણૂક કરે છે.
ચીફ જસ્ટિસ યુયુ લલિતનો 74 દિવસનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે.તેઓ 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે.9 નવેમ્બરે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ બે વર્ષ માટે દેશના આગામી ચીફ જસ્ટિસ હશે.હાલના નિયમ મુજબ, જસ્ટિસ ચંદ્રચુડ 11 નવેમ્બરે તેમના 65માં જન્મદિવસના એક દિવસ પહેલા 10 નવેમ્બર, 2024ના રોજ નિવૃત્ત થશે.