નવી દિલ્હીઃ AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુરુવારે મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યા હતા. તેમણે મુખ્યત્વે નવી દિલ્હીના ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર આપીને પ્રવેશ વર્માના ઘરે તાત્કાલિક દરોડા પાડવાની માંગ કરી હતી. અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે, પ્રવેશ વર્મા ખુલ્લેઆમ મહિલાઓને ૧૧૦૦ રૂપિયાનું વિતરણ કરી રહ્યા છે. આ ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન છે. પંજાબના સીએમ ભગવંત માન, દિલ્હીના સીએમ આતિશી અને સાંસદ સંજય સિંહ પણ ચૂંટણી પંચ પહોંચ્યા હતી.
અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે કે ભૂતપૂર્વ સાંસદ અને ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા નોકરીઓનું વચન આપીને મત માંગી રહ્યા છે. કેજરીવાલે માંગ કરી છે કે, DEO ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અથવા તેમની બદલી કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી સતત પ્રવેશ વર્મા પર પ્રહાર કરી રહી છે અને તેમના પર મતના બદલામાં પૈસા આપવાનો આરોપ લગાવી રહી છે. હવે આ મામલો ચૂંટણી પંચના દરવાજા સુધી પહોંચી ગયો છે. આગામી સમયમાં, દિલ્હીમાં આ મુદ્દા પર રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બનવાની શક્યતા છે.
અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. આ દિલ્હીની સૌથી હોટ બેઠક માનવામાં આવે છે. કોંગ્રેસે આ બેઠક પરથી પૂર્વ સીએમ શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતને મેદાનમાં ઉતાર્યા છે. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. ત્રણ દિવસ પછી ૮ ફેબ્રુઆરીના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 62 બેઠકો જીતી હતી. ભાજપે આઠ બેઠકો જીતી હતી. કોંગ્રેસ સતત બે ચૂંટણીઓમાં પોતાનું ખાતું ખોલાવી શકી નથી.