EDની ધરપકડની સામે કેજરિવાલે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પરત ખેંચી
નવી દિલ્હીઃ લિકર પોલીસી કેસમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની મોડી રાતે ધરપકડ કરી હતી. તેમજ તેમને આજે બપોરના સમયે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. બીજી તરફ ઈડીની કાર્યવાહી સામે અરવિંદ કેજરિવાલ તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે આજે શુક્રવારે પરત ખેંચી લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈડીએ અરવિંદ કેજરિવાલની ધરપકડ કરતા આ કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક અરજી કરીને સુનાવણી કરવાની માંગણી કરવામાં આવી હતી. એવુ મનાઈ રહ્યું છે કે, કોર્ટે પહેલા આ મામલે સુનાવણી કરવાની તૈયારી દર્શાવી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડએ આ અરજીની સુનાવણી ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાના અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ મોકલી હતી. દરમિયાન અરવિંદ કેજરિવાલના અરજીએ સવારે આ અરજી પરત ખેંચવાની રજુઆત કરી હતી. તેમજ જણાવ્યું હતું કે, ઈડી કેજરિવાલને કોર્ટમાં રજુ કરવાની છે ત્યારે તે કોર્ટમાં રજૂઆત કરીશું. સુપ્રીમ કોર્ટે પણ આ રજુઆતને ગ્રાહ્ય રાખીને અરજી પરત ખેંચવાની મંજુરી આપી હતી.