1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં કોંગ્રેસના જુથવાદને લીધે વિપક્ષના નેતા પસંદ કરી શકાતા નથી
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં કોંગ્રેસના જુથવાદને લીધે વિપક્ષના નેતા પસંદ કરી શકાતા નથી

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં કોંગ્રેસના જુથવાદને લીધે વિપક્ષના નેતા પસંદ કરી શકાતા નથી

0
Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ આવ્યાને મહિનો વિતિ ગયા હોવા છતાં હજુ કોંગ્રેસ દ્વારા વિપક્ષના નેતા નક્કી કરી શકાયા નથી. મ્યુનિ.કોંગ્રેસ પક્ષના નેતા પસંદગીની કવાયત હાથ ધરાતાં જ બે જૂથનાં કોર્પોરેટરો વચ્ચે ભારે સ્પર્ધા શરૂ થઇ ગઇ છે અને તેમનાં સમર્થકો દ્વારા કોણ લાયક-કોણ હકદાર તેવા મેસેજ વાયરલ કરવામાં આવતાં શહેર કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં  કોંગ્રેસપક્ષનુ ધોવાણ થઇ હતું. અને હતા તેના કરતાં કોર્પોરેટરો ઘટી ગયાં છે ત્યારે પક્ષમાં એકતા ઉભી થાય અને ભાજપ સામે અસરકારક વિપક્ષની ભૂમિકા ભજવવાને બદલે નેતાઓની સાથે સાથે કોર્પોરેટરો અને કાર્યકરો પણ અંદરોઅંદર જૂથવાદને પ્રોત્સાહન મળે તેવુ વર્તન કરી રહ્યાં છે.

આગામી વિધાનસભા તથા આગામી મ્યુનિ. ચૂંટણીને ધ્યાને લઇ શહેરીજનો વચ્ચે જઇ શકે તેવા નેતાની પસંદગી કરવી હિતાવહ છે તેમ છતાં બન્ને જૂથનાં દાવેદાર કોર્પોરેટરો અને કાર્યકરો એકબીજા કરતાં ચઢિયાતા દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે તે યોગ્ય નથી અને પાર્ટી નેતાગીરીએ તેની ગંભીર નોંધ લઇ શિસ્તનો કોરડો વિંઝવાની જરૂર છે. શહેરના કોંગ્રેસના બે ધારાસભ્યો વચ્ચે જ વિપક્ષના નેતાની પસંદગીના મામલે ખેચતાણ ચાલી રહી છે. મુસ્લિમ અને દલિત સમાજના કોર્પોરેટરો વિપક્ષના પદ માટે લોબીંગ કરી રહ્યા છે.

શહેરના દાણીલીમડા વોર્ડમાંથી સતત ૩ ટર્મથી બહુમતિથી વિજેતા બનતાં શેહઝાદખાન પઠાણ પણ નેતાપદની સ્પર્ધામાં છે અને તેઓ શિક્ષિત તેમજ વોર્ડમાં તમામ કોમ-સમાજમાં આવકાર્ય છે. એટલુ જ નહિ તેમના કારણે દાણીલીમડામાં ભાજપની બી ટીમ ગણાતી એઆઇએમઆઇએમ પાર્ટીએ ઉમેદવાર ઉભા રાખવાની હિંમત કરી નહોતી. તેથી યુવા ચહેરાને જ મ્યુનિ.કોંગ્રેસપક્ષનેતા તરીકે પસંદ કરવા જોઇએ તેવા મેસેજ સોશ્યલ મિડિયા ઉપર વાયરલ થયાં છે.

તેની સામે મ્યુનિ.માં વિપક્ષનેતા તરીકે હકદાર કોણ તેવા સવાલ સાથે સામેનાં જૂથે મેસેજ વાયરલ કર્યા છે. જેમાં ગોમતીપુર વોર્ડનાં કોર્પોરેટર ઇકબાલ શેખ તથા બહેરામપુરા વોર્ડનાં કોર્પોરેટર કમળાબેન ચાવડાની તરફેણ કરતાં મેસેજમાં જણાવાયુ છે કે, બન્ને કોર્પોરેટરો સિનિયર તથા લોકચાહના ધરાવે છે તેથી જ એઆઇએમઆઇએમ પાર્ટીનાં ઉમેદવારો સામે વિજેતા બની બહાર આવ્યા છે. તેથી આ બન્નેમાંથી કોઇ એકને જ મ્યુનિ.કોંગ્રેસપક્ષનેતા બનાવવા પાર્ટીએ વિચારવુ જોઇએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code