રાજકોટ અને ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે યોજાઈ
રાજકોટઃ ભાવનગર અને રાજકોટમાં આજે અષાઢી બીજે શહેરમાં કોરોનાની ગાઈડલાઈન સાથે અને ટૂંકા રૂટની રથયાત્રા નીકળી હતી. રાજકોટ શહેરના નાનામવા રોડ પર આવેલા કૈલાસધામ આશ્રમ ખાતે સોમવારે સવારે 7.30 કલાકે મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. આ મંગળા આરતીમાં રાજકોટના મહારાજા માંધાતાસિંહ, મેયર ડો. પ્રદીપ ડવ, ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજ, કમલેશ મીરાણી તમામ ધારાસભ્ય ગોવિદ પટેલ ,હિન્દૂ સંગઠનો, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાએ ભગવાનની આરતી કરી હતી.
જ્યારે ભાવનગરમાં અષાઢી બીજના રોજ દર વર્ષેની પરંપરા મુજબ ભાવનગરના નેક નામદાર મહારાજા વિજયરાજસિંહજી તથા યુવરાજ જયવીરરાજસિંહ, મંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર કીર્તિબેન દાણીધારીયા, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી હસ્તે સોનાના ઝાડુથી ‘છેડાપોર’ વિધિ તથા ‘પહિન્દ’ વિધિ કરી પૂર્ણ કરી રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યુ હતું. ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન સ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા 36મી રથયાત્રા શહેરના આંગણે યોજાઇ હતી. કોરોનાની મહામારીને લઈને માત્ર પાંચ કલાકના સમયગાળામાં સાડા સત્તર કિલોમીટરનું અંતર પૂર્ણ કરી રથયાત્રા નિજમંદિરમા પ્રવેશ કર્યો હતો.
રાજકોટમાં રથયાત્રા દરમિયાન કૈલાસધામ આશ્રમના મંદિરના મુખ્ય સ્વામી ત્યાગી મોહનદાસજી ગુરુ રામકિશોરદાસજી જણાવ્યુ હતું કે, હાલ કોરોનાને કારણે રથયાત્રાનો રૂટ મંદિર નજીક જ 2 કિ.મીમાં જ રખાયો હતો. માર્યાદિત લોકોની હાજરીમાં જ ત્રણ રથમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા. આજે મંદિરે રથયાત્રા પરત ફર્યા બાદ આખો દિવસ ભાવિકો માટે ભગવાનના દર્શન ખુલ્લા રાખવામાં આવશે. રથયાત્રાના બે કિલોમીટરના રૂટ પર દુકાનો બંધ રાખી કર્ફ્યુનો અમલ કરવામાં આવ્યો છે. આ કર્ફયુ સવારે 8થી 11 વાગ્યા સુધી અમલમાં રહ્યો હતો. રથયાત્રામાં નિર્ધારિત ભાવિકો જોડાયા હતા.
ભાવનગરમાં રથયાત્રા સવારે 8:30 વાગે ભગવાનેશ્વર મહાદેવ મંદિરથી પ્રસ્થાન થઈ હતી, મહિલા કોલેજ, આંબાવાડી, ઘોઘાસર્કલ, રૂપાણીસર્કલ, સ્વામિનારાયણ ગુરુકુળ, સરદારનગર સર્કલ, લંબે હનુમાનજી, ઘોઘા જકાતનાકા, શિવાજી સર્કલ, ગાયત્રીનગર દેવરાજનગર, ભરતનગર, સંત શ્રી સેન મહારાજ ચોક, માલધારી સોસાયટી, શિક્ષક સોસાયટી, દેવમાનુ મંદિર, સંત શ્રી વાસુરામ સાહેબ મંદિર, સિંધુનગર કેમ્પ, શ્રી ખોડિયાર માતાજીનું મંદિર સંસ્કાર મંડળ, શ્રી રામજી મંદિર, રોકડિયા હનુમાન, સેન્ટ્રલ સોલ્ટ, તખ્તેશ્વર મંદિર, રાધા મંદિર, સંત કવરરામ ચોક, કાળાનાળા, દાદાસાહેબ, બારસો મહાદેવની વાડી, સર ટી હોસ્પિટલ રોડ, જેલરોડ, મરીન સોસાયટી, અનંતવાડી, નિલમબાગ ચોક, બહુમાળી ભવન, જૂની મિલની ચાલી, ફાયર બ્રિગેડ, નિર્મળનગર, માધવ રત્ન, ક્રિસ્ટલ માર્કેટ, શીતળામાનુ મંદિર, પાવર હાઉસ, ચાવડી ગેટ, વિજય ટોકીઝ, રક્ષક હનુમાનજી મંદિર, કોળી જ્ઞાતિની વાડી, પાનવાડી ચોક, જશોનાથ ચોક, જશોનાથ મંદિર, વડવા-વોશિંગઘાટ, ગંગાદેરી, ઘોઘાગેઈટ, મહેતાશેરી, જગદીશ મંદિર, ખારગેટ જલારામ મંદિર ખારગેટ, મામાકોઠા, બાર્ટન લાઇબ્રેરી, રૂવાપરી પોલીસ ગેટ, શિવરામ રાજ્યગુરુ ચોક, સરદાર સ્મૃતિ, ગાયત્રી શક્તિપીઠ ડોન, બહુચરાજી મંદિર ડાયમંડ ચોક, મહિલા કોલેજ અને સુભાષનગર નિજ મંદિર બપોરે 1 વાગે પરત ફરી હતી.