શ્રીકૃષ્ણને આ જગ્યાએ પ્રાપ્ત થયું હતું સુદર્શન ચક્ર,જાણો તેના વિશે
ભગવાન શ્રીકૃષ્ણ કે જેમનાથી મહાન વ્યક્તિત્વ આજ સુધી કોઈ થયું નથી અને કદાચ કરોડો વર્ષો સુધી થશે પણ નહીં એમના જો સુદર્શન ચક્રની વાત કરવામાં આવે તો તેના વિશેની વાત પણ રોચક છે. બિલેશ્વર મહાદેવનું શિવલિંગ સ્વયંભૂ જ મનાય છે. માન્યતા અનુસાર આ શિવલિંગ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણના હસ્તે પૂજીત છે! પ્રચલિત માન્યતા અનુસાર શ્રીકૃષ્ણએ આ જ ધરા પર મહેશ્વરની સ્વહસ્તે પૂજા કરી હતી. કહે છે કે તેનાથી પ્રસન્ન થઈ શિવજીએ શ્રીકૃષ્ણને અહીં જ સુદર્શન ચક્ર પ્રદાન કર્યું હતું. સાથે જ પુત્રપ્રાપ્તિના આશિષ પણ પ્રદાન કર્યા હતા. પ્રચલિત કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ સંતાન સુખની કામના સાથે બરડા ડુંગર પર આવ્યા હતા. તે સમયે આ સમગ્ર વિસ્તાર બિલ્વવૃક્ષોના ગાઢ વનથી ઘેરાયેલો હતો. શ્રીકૃષ્ણએ સર્વ પ્રથમ આ ભૂમિ પર આવી મા ગંગાનું આહ્વાન કર્યું અને પછી એ જ ગંગાના જળથી મહેશ્વરની પૂજાનો પ્રારંભ કર્યો. માન્યતા અનુસાર શ્રીકૃષ્ણએ સ્વયં બીલીપત્રથી અહીં મહાદેવની પૂજા કરી અને પછી પૂરા સાત માસ સુધી સવા લાખ કમળ પુષ્પ અર્પણ કરવાનું અનુષ્ઠાન કર્યું.
પોરબંદરના રાણાવાવ તાલુકામાં આવેલું બિલેશ્વર મહાદેવનું મંદિર એટલે તો સ્વયં શ્રીકૃષ્ણની તપોભૂમિ અને સાથે જ અહીં મળે છે, દેવાધિદેવના હાજરાહજૂરપણાંની સાબિતી.
પુરાણોમાં ઉલ્લેખ છે તે અનુસાર ભગવાન શિવજીના હૃદયની સૌથી વધુ નજીક જો કોઈ હોય તો તે સ્વયં ભગવાન વિષ્ણુ છે અને એ જ રીતે જો ભગવાન વિષ્ણુના હૃદયની સૌથી વધુ નજીક જો કોઈ હોય તો તે સ્વયં ભગવાન શિવ છે. હરિહરનો તો એકબીજા સાથે ગાઢ સંબંધ છે.
શિવજીએ પ્રસન્ન થઈ શ્રીકૃષ્ણને દર્શન દીધા. ત્યારે શ્રીકૃષ્ણએ શિવજી પાસે સંતાનની મનશા અભિવ્યક્ત કરી. કહે છે કે મહાદેવે શ્રીકૃષ્ણને જાંબુવતીથી પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું અને સાથે જ સુદર્શન ચક્ર પણ ભેટ આપ્યું. એક વાયકા અનુસાર બિલેશ્વર મહાદેવ સ્વયં શ્રીકૃષ્ણના હસ્તે સ્થાપિત છે તો એક માન્યતા અનુસાર શિવલિંગ તો શ્રીકૃષ્ણના પહેલાથી અસ્તિત્વમાં છે પણ આ શિવલિંગની સર્વ પ્રથમ પૂજા સ્વયં શ્રીકૃષ્ણએ કરી હતી. એ જ કારણ છે કે અહીં દર્શન માત્રથી હરિહર બંન્નેના આશિષની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે.
ઉલ્લેખનીય છે કે આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.