જામનગર, 30 જુન, 2026 : Congress held a rally in support of farmers ખેડૂતોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે આજે કોંગ્રેસ દ્વારા શહેરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. “ખેડૂતો પર અત્યાચાર બંધ કરો” સહિતના બેનરો અને સૂત્રોચ્ચારો સાથે કોંગ્રેસના મહિલાઓ સહિતના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપવા નીકળ્યા હતા. જો કે પોલીસે રેલીને અટકાવતા કોંગ્રેસના કાર્યકરોએ ભારે વિરોધ કર્યો હતો. પોલીસે સ્થિતિ વધુ ઉગ્ર ન બને તે માટે કાર્યવાહી હાથ ધરી કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
જામનગર શહેરમાં ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે સરકારનું ધ્યાન દોરવા માટે જામનગર કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેતરમાં વિજ પોલના મુદ્દે ‘જય જવાન જય કિસાન’ના સૂત્રોચ્ચાર સાથેની રેલી આગળ વધતી હતી ત્યારે પોલીસે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રેલીને નિર્ધારિત સ્થળે રોકી હતી. પોલીસ દ્વારા રોકટોક કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો રસ્તા પર જ બેસી ગયા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચારો સાથે ધરણાં શરૂ કર્યા હતા. સ્થળ પર થોડા સમય માટે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસના આગેવાનોએ ખેડૂતોના પ્રશ્નોને લઈને રાજ્ય સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ખેડૂતોને ન્યાય આપવા માંગણી કરી હતી.
પોલીસે સ્થિતિ વધુ ઉગ્ર ન બને તે માટે કાર્યવાહી હાથ ધરી કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથીરીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલ સુમરા સહિતના 15 થી વધુ આગેવાનોની અટકાયત કરી હતી. સમગ્ર ઘટનાને પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોંગ્રેસે ખેડૂતોના હિતમાં લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે, જ્યારે પોલીસે સમગ્ર કાર્યવાહી કાયદેસરની પ્રક્રિયા મુજબ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.


