ગુજરાત પ્રશાસનમાં મોટો ફેરબદલ: 72 IAS અધિકારીઓની બદલી
ગાંધીનગર, 13 મે 2026: IAS Officers Transferred રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરતા 72 જેટલા IAS અધિકારીઓની સાગમટે બદલી અને નિમણૂંકના આદેશો જારી કરવામાં આવ્યા છે.
આ મોટા ફેરબદલમાં અનેક જિલ્લાના કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોની જવાબદારીઓ બદલવામાં આવી છે. અમદાવાદના કલેક્ટર સુજીત કુમારની બદલી કરવામાં આવી છે, તેમના સ્થાને ભવ્ય વર્મા હવે અમદાવાદના નવા કલેક્ટર તરીકે કાર્યભાર સંભાળશે. સુરતના કલેક્ટર તરીકે તેજસ પરમારની વરણી કરવામાં આવી છે.ભરૂચના ડો. નવનાથ કોન્ડિબા ગવહાણે ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂંક પામ્યા છે. કચ્છ-ભુજના અનિલકુમાર રણવાસિયાને કચ્છ-ભુજના કલેક્ટરની જવાબદારી સોંપવામાં આવી છે.
મહાનગરપાલિકાઓમાં પણ વહીવટી સ્તરે ફેરફાર કરવામાં આવ્યા છે. જે.એસ. પ્રજાપતિ ગાંધીનગરના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે, જ્યારે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે દીપેશ કેડિયાની નિમણૂંક કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી વહીવટી કાર્યક્ષમતામાં વધારો થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. તમામ અધિકારીઓને સત્વરે નવો કાર્યભાર સંભાળવા સૂચના આપવામાં આવી છે.


