MP:ભોજશાળા મસ્જિદ છે કે મંદિર? જ્ઞાનવાપીની જેમ એએસઆઈ સર્વેને હાઈકોર્ટે આપી મંજૂરી
ઈન્દૌર: મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દૌર બેંચે સોમવારે ધાર જિલ્લામાં આવેલી ભોજશાળાના વૈજ્ઞાનિક સર્વેક્ષણને મંજૂરી આપી છે. આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાને 6 સપ્તાહમાં સર્વે કરવાની તાકીદ કરવામાં આવી છે. હાઈકોર્ટે હિંદુ ટ્રસ્ટની અરજી પર 19 ફેબ્રુઆરીએ સુનાવણી કરી હતી અને આદેશને સુરક્ષિત રાખ્યો હતો.
ભોજશાળા એએસઆઈ સંરક્ષિત સ્મારક છે. જેમાં માતા સરસ્વતીનું મંદિર હોવાનો હિંદુઓ દાવો કરી રહ્યા છે , તો મુસ્લિમો અહીં કમલ મૌલા મસ્જિદ હોવાનો દાવો કરે છે. હિંદુ ફ્રન્ટ ફોર જસ્ટિસે ભોજશાળામાં નમાજ પઢવાની વિરુદ્ધ 2 મે, 2022ના રોજ અરજી દાખલ કરી હતી. વકીલ વિષ્ણુ શંકર જૈને પુષ્ટિ કરી છે કે હાઈકોર્ટે ધારની ભોજશાળામાં કાશીની જ્ઞાનવાપીની તર્જ પર સર્વેને મંજૂરી આપી છે.
બે વર્ષ પહેલા હિંદુ ફ્રન્ટ ફોર જસ્ટિસ તરફથી દાખલ અરજીમાં એએસઆઈને વૈજ્ઞાનિક સર્વે કરવાની માગણી કરવામાં આવી હતી. જેથી એ સ્પષ્ટ થઈ શકે કે ભોજશાળા હકીકતમાં મંદિર છે અથવા મસ્જિદ. કોર્ટે અરજદારો તરફથી રજૂ કરવામાં આવેલા પુરાવામાં સામેલ રંગીન ચિત્રોના આધારે સર્વેની મંજૂરી આપી. અરજદારોએ કોર્ટને જણાવ્યું કે સ્તંભો પર સંસ્કૃતના શ્લોક લખેલા છે. તેમણે કહ્યુ કે આ માતા વાગદેવીનું મંદિર છે. તેમની મૂર્તિ લંડનના મ્યૂઝિયમમાં છે.