- અફઘાનિસ્તાનની સ્થિતિ પર બોલ્યા રક્ષા મંત્રી રાજનાથ સિંહ
- અફઘાનિસ્તાનમાં બદલાતા સમીકરણ એક પડકાર
- અમે વ્યૂહરચનામાં ફેરફાર લાવી રહ્યા છે
નવી દિલ્હી: અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ પર રક્ષામંત્રી રાજનાથ સિંહે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં બદલાતા સમીકરણને તે એક પડકાર માને છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે અમારી રણનીતિમાં ફેરફાર કરી રહ્યાં છે. ક્વાડની રચના જે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા મળીને બનાવી રહ્યાં છે, આ રણનીતિ અંતર્ગત જ તેની રચના કરાઇ છે.
ભારતના ઇતિહાસ પર ભાર મૂકતા તેઓએ કહ્યું હતું કે, ભારત પાસે સામર્થ્ય હોવા છતાં કોઇપણ પાડોશી દેશ પર આક્રમણ કર્યું નથી કે કોઇ દેશની એક ઇંચ જમીન પર પણ કબ્જો નથી કર્યો. આપણે લોકો વિશ્વને એક પરિવાર માનીએ છીએ.
ભારત-ચીન સરહદ વિવાદ અંગે બોલ્યા હતા કે, જ્યારે ચીની સેના આગળ વધવાની વાત કરી રહી હતી ત્યારે મે લગભગ 11 કલાક સુધી સેના પ્રમુખ સાથે વાત કરી હતી ત્યારે સ્થિતિ વધુ ગંભીર હતી, તે ચિંતાજનક સ્થિતિમાં પણ ભારતીય સૈન્યએ સમજદારીપૂર્વક વ્યવહાર કર્યો તે ખરા અર્થમાં પ્રશંસાપાત્ર છે.
આપણા સુરક્ષાદળોએ એકવાર ફરી સાબિત કરી દીધુ કે અમે કોઇપણ સમયે અને કોઇપણ પડકારજનક સ્થિતિમાં પણ દુશ્મનનો સામનો કરવા મટે પ્રતિબદ્વ છીએ. પોતાની રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવા માટે ભલે કોઇપણ કિંમત કેમ ના હોય.
દુશ્મનો પર શાબ્દિક પ્રહાર કરતા તેઓએ કહ્યું હતું કે, જ્યારથી ભારત સ્વતંત્ર થયું છે ત્યારથી વિરોધી તાકાતો ભારતમાં અસ્થિરતા અને તંગદિલીનો માહોલ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. છેલ્લા 75 વર્ષના ઇતિહાસ પર નજર કરીએ તો ખબર પડે છે કે પડકાર આપણને વારસામાં મળ્યા છે.
પડકારો સામેની સુરક્ષા નીતિમાં ભારતે ફેરફાર કર્યો છે. અમે આતંકવાદ વિરુદ્વ પ્રો-એક્ટિવ વલણ અપનાવ્યું છે. ભારતની સરહદ પર પડકારો છતાં સામાન્ય માનવીને વિશ્વાસ છે કે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે કોઇ સમજૂતી થશે નહીં.