- હવે રેલવે અકસ્માત ટાળી શકાશે
- રેડ સિગ્ન જોતા જ એન્જિનને જાતે જ બ્રેક વાગવા માંડશે
- રેલવે ઝીરો એક્સિડેન્ટ લક્ષ્યાંક માટે પ્રયાસરત
નવી દિલ્હી: દર વર્ષે અનેક રેલ અકસ્માત થાય છે ત્યારે ભારતીય રેલવે અત્યારે ઝીરો એક્સિડેન્ટ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે પ્રયાસરત છે.
આ લક્ષ્યને સિદ્વ કરવા માટે રેલવે દ્વારા ટ્રેન પ્રોટેક્શન એન્ડ વોર્નિંગ સિસ્ટમ પર કામ કરવામાં આવી રહ્યું છે. જેનાથી ટ્રેન અથડાવવાનો ખતરો ટળી જતા અકસ્માત નહીં થાય.
આ સિસ્ટમ એવી રીતે કામ કરશે કે જો ટ્રેન ભૂલથી રેડ સિગ્નલ છતાં પણ આગળ વધતી રહેશે તો ટ્રેન પ્રોટેક્શન એન્ડ વોર્નિંગ સિસ્ટમ ટ્રેનને રોકી દેશે. આ સિસ્ટમ ટ્રેનના લોકો પાયલોટ દ્વારા થતી તમામ કામગીરીને મોનિટર કરશે. જો પાયલોટ નિશ્વિત સમયમાં બ્રેક મારવાની કામગીરી નહીં કરે તો તેને આ સિસ્ટમ દ્વારા ઓડિયો અને વિઝ્યુઅલ વોર્નિંગ આપવામાં આવશે અને એ પછી પણ પાયલટ ટ્રેન રોકવામાં અસમર્થ રહેશે તો સિસ્ટમ ટ્રેનના એન્જિનને બ્રેક મારીને રોકી દેશે.
આ એક એવી સિસ્ટમ છે જે ટ્રેનને તેની નિશ્વિત ઝડપ કરતા વધારે ઝડપથી તો નહીં જ દોડવા દે પણ રેડ સિગ્નલ દેખાતાની સાથે જ એક્ટિવેટ થઇ જશે. જેના કારણે પાયલોટની બેદરકારી અથવા તો ઉંઘ આવી જવા જેવા કેસમાં ટ્રેન ના રોકાય તો સિસ્ટમ તેને રોકી દેશે. જેનાથી અકસ્માત થતા ટાળી શકાશે.
અત્રે જણાવવાનું કે, રેલવે ટ્રેક પરના તમામ સિગ્નલ અને ટ્રેનના એન્જિનની અંદર આ સિસ્ટમ લગાવવામાં આવશે. જે એન્જિનની બ્રેક સાથે જોડાયેલી રહેશે. સિગ્નલથી ટ્રેન પાંચસો મીટર દુર હશે ત્યારે સિસ્ટમ ટ્રેન ચાલકને તેના અંગે જાણ કરી દેશે.