- પેંગોંગ સરોવર પાસે ભારત-ચીનની સ્થિતિને લઇને આર્મી ચીફનું નિવેદન
- પેંગોંગ સરોવર પર ચીને પીછેહઠ કરી છે પરંતુ ખતરો સંપૂર્ણ ટળ્યો હોય એમ ના કહી શકાય
- પેંગોંગ સરોવરથી ચીનની સેનાની પીછેહઠ બાદ ખતરો: આર્મી ચીફ
નવી દિલ્હી: પેંગોંગ સરોવર પાસે ભારત અને ચીનના સૈનિકોએ પીછેહઠ તો કરી છે, પરંતુ હજુ સંપૂર્ણ ખતરો ટળી ગયો હોય તેવું ના કહી શકાય.
ભારત અને ચીન વચ્ચે પેંગોંગ સરોવરમાં એક વર્ષ સુધી ચાલેલી તકરાર બાદ બંને દેશની સેના વચ્ચે થયેલી વાતચીત બાદ ચીને પોતાની સેના પાછી ખસેડી લીધી છે. LACની વર્તમાન સ્થિતિ પર આર્મી ચીફ નરવણેએ જણાવ્યું હતું કે, પેંગોંગ સરોવરથી ચીનની સેનાની પીછેહઠ બાદ ખતરો ઘટ્યો છે. પરંતુ, સમાપ્ત થયો નથી. સેનાની તૈનાતી ગત વર્ષની જેમ જ યથાવત્ છે.
પર્વતીય ક્ષેત્રની સ્થિતિ અંગે જાણકારી આપતા આર્મી ચીફે કહ્યું કે કેટલાક ક્ષેત્રમાં સૈન્ય શક્તિ એમ જ છે. તેઓએ પીએમ મોદીની એ ટિપ્પણી સાથે સહમતિ દર્શાવી હતી કે ભારતીય વિસ્તારમાં હવે ચીનનો કબજો નથી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હજુ પણ તણાવની સ્થિતિને નકારી ના શકાય. કેટલાક વિસ્તારો છે જ્યાં આપણે ચર્ચા કરવાની છે પરંતુ દરેક ચીજોને મેળવીને મને લાગે છે કે આ વિશ્વાસ કરવા માટે આપણી પાસે મજબૂત આધાર છે, કે આપણે ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહીશું.
આર્મી ચીફે કહ્યું કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ગ્રે વિસ્તારો મુખ્ય કારણ છે. કેમકે કોઈ ચિન્હિત વાસ્તવિક નિયંત્રણ રેખા નથી. અલગ અલગ દાવા અને અવધારણા છે. તમે એમ ન કહી શકો કે હું ક્યાં છું, તેઓ ક્યાં છે. તેઓએ કહ્યું કે જ્યાં સુધી સૈનિકો પાછળના વિસ્તારોથી પરત ફરતા નથી ત્યાં સુધી સ્થિતિ સામાન્ય છે તેમ કહી શકાશે નહીં.
(સંકેત)