- IMAએ બાબા રામદેવને ફટકારી નોટિસ
- IMA ઉત્તરાખંડે બાબા રામદેવને 1000 કરોડની માનહાનિની નોટિસ ફટકારી
- નોટિસ ફટકારીને 15 દિવસમાં માફી માગવા માટે કહ્યું
નવી દિલ્હી: એલોપેથી અને ડૉક્ટરો પર વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ હવે યોગગુરુ બાબા રામદેવ ખરાબ રીતે ફસાયા છે. હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઉત્તરાખંડે રામદેવને 1000 કરોડની માનહાનિ નોટિસ મોકલી છે. નોટિસ ફટકારીને બાબા રામદેવને 15 દિવસની અંદર લેખિત માફી માગવા માટે કહેવામાં આવ્યું છે.
નોટિસમાં વધુમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે, જો બાબા રામદેવ 15 દિવસની અંદર ખંડિત વીડિયો અને લેખિત માફી નહીં માંગે તો તેમની પાસેથી 1000 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવશે. આ ઉપરાંત બાબ રામદેવને કોરોનિલ કીટની ભ્રામક જાહેરાત તમામ સ્થળોથી 72 કલાકની અંદર દૂર કરવા જણાવ્યું છે.
શું છે બાબા રામદેવનું વિવાદિત નિવેદન
થોડાક સમય પહેલા બાબા રામદેવે એવું વિવાદિત નિવેદન આપ્યું હતું કે, એલોપેથીની દવાઓ ખાવાથી લોકો મોતને ભેટ્યા છે. તેમણે એલોપેથીને સ્ટુપિડ સાયન્સ ગણાવ્યું હતું. આ વિવાદિત નિવેદન બાદ વિવાદ વકર્યો હતો અને અંતે બાબા રામદેવે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું.
એવું માનવામાં આવી રહ્યું હતું કે વિવાદ અટકી જશે, પરંતુ 24 મેના રોજ રામદેવે ફરી એકવાર એલોપેથિક દવાઓની પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા. આ વખતે તેમણે પતંજલિના લેટરપેડ પર લખેલા પત્રમાં આઈએમએ સમક્ષ 25 પ્રશ્નો પૂછ્યા. જો કે હવે IMA ઉત્તરાખંડે બાબા રામદેવ વિરુદ્વ નોટિસ ફટકારી છે.