- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત લથડી
- તેમની તબિયત લથડતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા
- ડૉક્ટરોની ખાસ ટીમ દ્વારા તેમનું રૂટિન ચેક-અપ કરાયું
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત લથડી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. વહેલી સવારે તેમને છાતીમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી.
રાષ્ટ્રપતિએ છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતા તેમને દિલ્હી સ્થિત આર્મી હોસ્પિટલમાં તેમને સારવાર અર્થે તાત્કાલિક અસરથી ખસેડવામાં આવ્યા છે. ડૉક્ટરોની ખાસ ટીમ દ્વારા તેમનું રૂટિન ચેક-અપ કરાયું હોવાનો અહેવાલ પ્રાપ્ત થયો છે.
આર્મી હોસ્પિટલે મેડિકલ બુલેટિન જાહેર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે સવારે છાતીમાં દુ:ખાવો થતો હોવાની વાત કરી હતી. ત્યારબાદ તેમને આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ચેકઅપ કરાયું હતું અને હાલ તેઓની સ્થિતિ સ્થિર છે.
જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે આર્મી હોસ્પીટલમાં જ 3 માર્ચે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે. રાષ્ટ્રપતિ તેમની પુત્રી સાથે આર્મી હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમને રસી લીધી હતી.
(સંકેત)