છત્તીસગઢમાં નક્સલવાદીઓનો સુરક્ષા જવાનો ઉપર હુમલોઃ 10 જવાનો શહીદ, એક નાગરિકનું મૃત્યુ
નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર દેશ વિરોધીતત્વો માથુ ઉચકી રહ્યાનું લાગી રહ્યું છે, જમ્મુ-કાશ્મીરના પુંછમાં ભારતીય સુરક્ષા જવાનો ઉપર આતંકવાદીઓએ તાજેતરમાં કરેલો હુમલો હજુ ભુલાયો નથી, ત્યાં હવે છત્તીસગઢમાં નક્સલવાદીઓએ ભારતીય સુરક્ષા જવાનો ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓએ કરેલી આઈઈડી બ્લાસ્ટમાં 10 જવાનો શહીદ થયાં હતા. જ્યારે એક નાગરિકનું પણ મૃત્યુ થયાનું જાણવા મળે છે. નક્સલવાદી હુમલામાં એક નાગરિક અને 10 જવાનો શહીદ થવાની ઘટનાને પગલે જનતામાં રોષ ફેલાયો છે, તેમજ દેશ વિરોધી તત્વો સામે તેમની ભાષામાં કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડીઆરજીના જવાનો તેમના સાથીઓને લેવા માટે ખાનગી વાહનમાં અરનપુર જઈ રહ્યાં હતા. દરમિયાન દંતેવાડામાં નક્સલીઓએ ડીઆરજીના જવાનોના વાહનો ઉપર આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. આ બ્લાસ્ટમાં 10 જેટલા જવાનો શહીદ થયાં હતા. નક્સલવાદી હુમલાના પગલે સ્થાનિકોમાં ભય ફેલાયો હતો.
આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ પોલીસે નક્સલવાદીઓને ઘેરી લીધા હતા. જેથી પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે પણ ધાણીફુટ ગોળીબાર થયો હતો. આ હુમલામાં કેટલાક નક્સલવાદીઓ ઘાયલ થયાનું મનાઈ રહ્યું છે. સુરક્ષા જવાનોએ નક્સવાદીઓ કાર્યવાહીને વધારે તેજ બનાવી છે. આ મામલો અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું જાણવા છે. પોલીસ અને નક્સલવાદીઓની અથડામણ વચ્ચે વધારાના પોલીસ ફોર્સને પણ બોલાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. નક્સલવાદીઓના હુમલાની પેર્ટન બિલકુલ બદલાઈ નથી. જ્યારે જવાનો નક્સલી વિસ્તારમાંથી પસાર થતા હતા. ત્યારે જ હુમલાને અંજામ આપ્યો હતો.
- મુખ્યમંત્રી ભૂપેશ પધેલે દુઃખ વ્યક્ત કર્યું
આ ઘટનાની પુષ્ટિ કરતા મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું છે કે નક્સલવાદી હુમલાની ઘટના દુઃખદ છે. શહીદ થયેલા જવાનોના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. આ લડાઈ છેલ્લા તબક્કામાં ચાલી રહી છે અને નક્સલવાદીઓને કોઈપણ કિંમતે બક્ષવામાં આવશે નહીં. અમે યોજનાબદ્ધ રીતે નક્સલવાદને ખતમ કરીશું.
- પૂર્વ સીએણ રમણસિંહના બધેલ સરકાર ઉપર પ્રહાર
આ બનાવને પગલે રાજ્યના પૂર્વ સીએમ રમણસિંહે મુખ્યમંત્રી ભુપેશ બધેલ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે, દરેક હુમલા પછી બધેલ એક જ વાત કરે છે, પરંતુ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવતી નથી. નક્સલવાદી પ્રવૃતિઓ ડામવા માટે જ્યાં સુધી ઓપરેશન ચાલુ નહીં કરાવામાં આવે ત્યાં સુધી આ સમસ્યા યથાવત રહેવાની શકયતા છે.