ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ-સિન્ડિકેટની ચૂંટણી તથા પ્રવેશ પ્રકિયાના મામલે NSUIએ કર્યો હોબાળો
અમદાવાદઃ ગુજરાતની સૌથી જુની અને સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણી ન યોજવાના મામલે તેમજ પ્રવેશ પ્રકિયા કાનગી એજન્સીને સોંપવાના વિરોધમાં આજે એનએસયુઆઈએ યુનિ. ટાવરમાં હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થી નેતાએ આક્ષેપ કર્યો હતો કે, હવે યુનિવર્સિટીના વહિવટનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત યુનિવર્સિટીના કેટલાક પ્રશ્નોને લઈને આજે NSUI એ ઉગ્ર વિરોધ કર્યો હતો. યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા ખાનગી કંપનીને સોંપાતા તેમજ સેનેટ-સિન્ડિકેટની ચૂંટણીને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો .NSUIના કાર્યકરોને રજુઆત માટે યુનિ ટાવરમાં પ્રવેશ આપવામાં આવ્યો નહતો. તેથી વિદ્યાર્થીઓએ યુનિ. ભવનના લોખંડનો દરવાજો ખટખટાવીને વિરોધ કર્યો હતો.
એનએસયુઆઈના નેતાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં નવા વર્ષથી શરૂ થનારી એડમિશન પ્રક્રિયા ઝડપથી શરૂ કરવામાં આવે જેથી ખાનગી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ એડમિશન લેવા મજબુર ના થાય,ખાનગી એજન્સીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિતની કામગીરી સોંપવામાં આવે છે તે રદ કરવામાં આવે તથા કેટલાય સમયથી રજીસ્ટર સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણી થઈ નથી તો સત્વરે ચૂંટણી જાહેર કરવા NSUI દ્વારા વિરોધ કરવાના આવ્યો હતો. યુનિવર્સિટીમાં ચાલી રહેલ સિન્ડિકેટ બેઠક સમયે જ વિરોધ થતા NSUIના કાર્યકરોને અંદર પ્રવેશવા દીધા નહોતા જેથી કાર્યકરોએ લોખંડની ઝાળીઓ ખટખટાવીને વિરોધ કર્યો હતો.
આ મામલે NSUIના નેતા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કુલપતિ ભાજપના ઈશારે કામ કરે છે.સિન્ડિકેટ સભ્યોની મરજી મુજબ કામ કરવામાં આવી રહ્યું છે.રજિસ્ટ્રર સેનેટ સિન્ડિકેટ નથી, છતાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહત્વના નિર્ણયો કરવામાં આવે છે તો તાત્કાલિક ચૂંટણી જાહેર કરવી જોઈએ.