ભારતીય ટીમ સાથે હાથ મિલાવવા માટે પાકિસ્તાની ખેલાડીઓ તત્પર
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી, 2026: ભારત અને શ્રીલંકામાં હાલ આઈસીસી ટી20 વિશ્વકપ રમાઈ રહ્યો છે. દરમિયાન આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈપ્રોફાઈલ મેચ રમાશે. જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પાકિસ્તાની ખેલાડીઓ પણ ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવવા માટે તત્પર બન્યા હોય તેવુ લાગી રહ્યું છે. પાકિસ્તાની ટીમના કેપ્ટન સલમાન આગા ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવવા માટે તરસી રહ્યાં છે અને ફરી એકવાર ભારતીય ખેલાડીઓને ખેલ ભાવના દાખવવા માટે અપીલ કરી છે.
ભારત સામે રમાનારી મેચ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન આગાએ જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ ખેલ ભાવનાથી રમાવવી જોઈએ, અમારી ટીમ ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવવા માટે તૈયાર છીએ. મારુ વિચારવુ યોગ્ય ના હોઈ શકે પરંતુ ક્રિકેટને એવી રીતે જ રમવી જોઈએ જેવી હંમેશાથી રમાય છે. આગળ શું કરવું તે તેમણે નક્કી કરવાનું છે.
પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધારે તંગ બન્યાં છે. તેની અસર ક્રિકેટ ઉપર પણ જોવા મળી હતી. એશિયાકપની મેચમાં ભારતીય કેપ્ટન અને ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સાથે હાથ મીલાવવાનું ટાળ્યું હતું. જેના પગલે વિવાદ વકર્યો હતો. એટલું જ નહીં ક્રિકેટના મેદાનમાં પાકિસ્તાની ખેલાડીઓએ પહેલગામ હુમલા પછી બંને દેશ વચ્ચે થયેલી સૈન્ય કાર્યવાહીને લઈને અયોગ્ય ઈશારા કર્યાં હતા. એટલું જ નહીં ભારતીય ટીમે એશિયા કપ જીત્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા નકવીના હાથે ટ્રોફી લેવાનો ઈન્કાર કર્યો હતો. હજુ સુધી આ ટ્રોફી વિજેતા ટીમને નહીં મળી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત હેન્ડશેકને લઈને તાજેતરમાં જ પાકિસ્તાને આઈસીસી સમક્ષ માંગણી કરી હતી. જો કે, આઈસીસીએ પાકિસ્તાનની આ માંગણીને ફગાવી દીધી હતી.
આ પણ વાંચોઃ ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ, વડાપ્રધાને આસામથી આપી લીલી ઝંડી


