લો બોલો, પાકિસ્તાનના PM ઈમરાનખાન બળાત્કાર માટે મહિલાઓના કપડાંને માને છે જવાબદાર
- ઈમરાનખાનના નિવેદનથી મહિલાઓમાં રોષ
- પાકિસ્તાનમાં દર 24 કલાકમાં રેપના 11 બનાવો
દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં બળાત્કારના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આવા બનાવોને અટકાવવા યોગ્ય કાર્યવાહી કરવાને બદલે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન મહિલાઓના કપડાને બળાત્કાર માટે જવાબદાર માની રહ્યાં છે. ઈમરાનખાનના આવા નિવેદનને પગલે વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. તેમજ મહિલાઓમાં પીએમના નિવેદનથી રોષ ફેલાયો છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને. એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘જો કોઈ સ્ત્રી ખૂબ ઓછા કપડાં પહેરે છે, તો તેની અસર પુરુષો પર પડે છે, પુરુષો રોબોટ તો નથી. આ એક કોમન સેન્સની વાત છે. ઈમરાનખાનના આ નિવેદન બાદ મહિલાઓમાં રોષ ફેલાયો છે. દરમિયાન ઈન્ટરનેશલ જસ્ટિસ કમિશનના એડવાઈઝર રીમા ઓમરે કહ્યુ હતુ કે, ઈમરાનખાન યૌન હિંસા માટે ભોગ બનનારને જ જવાબદાર હોવાનુ કહી રહ્યા છે, આ નિરાશાજનક વાત છે. તેમનુ નિવેદન તેમની બીમાર માનસિકતા દર્શાવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં દર 24 કલાકમાં રેપના 11 બનાવો બને છે. છ વર્ષમાં 22000 કેસ પોલીસમાં નોંધાયા છે. જોકે રેપના આરોપીઓ પૈકી માંડ 0.3 ટકાને સજા થાય છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પાક સરકારે મહિલાઓ અને બાળકોના યૌન શોષણના મામલામાં સુનાવણી માટે વિશેષ કોર્ટ સ્થાપવાના અધ્યાદેશને મંજૂરી આપી હતી અને તેમાં આવા કેસ ચાર મહિનામાં પૂરા થાય તેવા નિર્દેશ કર્યા હતા.