ગુજરાતના આ ગામના રોમેરોમમાં વસે છે દેશભક્તિ – પ્રત્યેક ઘરમાંથી એક પુત્ર જોડાય છે સેનામાં
- ગુજરાતનું ગામ આર્મી મેન તરીકે પ્રસિદ્ધ
- ગામના 300થી વઘુ યુવાઓ આર્મી અને બીએસફમાં ફરજ બજાવે છે
- પરિવાર પોતાના બાળકને દેશ સેવામાં અર્પણ કરે છે
- આર્મીમાં જોડાતા પહેલા સુરજદેવીના દર્શન કરવામાં આવે છે
- વિતેલી પેઢીનો કારગીલ અને પાકિસ્તાન સામેના યુદ્ધમાં ફાળો
- યુદ્ધમાં લડીને રજત પદક મેળવ્યા છે ગામના વડીલોએ
અમદાવાદ: ભારતીય આર્મીમાં જોડાવવું અને ભારત દેશની સેવા કરવા માટે લોકોમાં જોશ અલગ સ્તર પર હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાઓમાં પણ ભારતીય આર્મીમાં જોડાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે ત્યારે ગુજરાતનું એક ગામ એવુ છે જેને જોઈને તમારો હાથ પણ સલામી માટે ઉઠી જશે.
ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં ગામ ‘મોટા’માં દરેક માતા પિતાની ઈચ્છા કંઈક જુદી જ હોય છે, અહી ગામના માતા-પિતા પોતાના પુત્રને આર્મીની સેવામાં જોવાની ઈચ્છા ઘરાવતા હોય છે. આ ગામના દરેક ઘરમાંથી એક કે એકથી વઘુ પુત્રો આર્મી કે બીએસએફમાં ફરજ બજાવતો જોવા મળતો હોય છે જે આ ગામની ખાસીયત કહી શકાય અને એટલે જ ગુજરાતના આ ‘મોટા’ નામક ગામને ‘આર્મીમેન’ કે ‘શુરવીરો’નું ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે.
માત્ર 5 હજારની વસ્તી ઘરાવતા ગામમાં લોકોમાં દેશભક્તિની લાગણી વધારે જોવા મળે છે અને ગામના લોકોમાં દેશલાગણીની સેવા માટે સુગંઘ પ્રસરી હોય તેવું જોવા મળી આવે છે.
મહત્વનું છે કે આ ગામમાંથી અત્યાર સુઘી યુવાનો અને નિવૃત્ત થયેલા દેશ જવાનોની સંખ્યા 800થી પણ ઉપરનો આંકડો વટાવે છે. આ ગામના ઈતિહાસની જો વાત કરવામાં આવે તો જ્યારે નવાબોનું રાજપાટ હતું ત્યારે પણ ગામના 50થી વઘુ યુવાનો નવાબની સેનામાં કાર્યરત થતા, ત્યાર બાદ વર્ષ 1976માં ‘મોટા’ ગામના હરિસિંહ પરમાર અને ભૂપત સિંહ રાજપૂત નામના બે યુવાઓ ઈન્ડિયન આર્મીમાં જોડાયા અને તેઓ કારગીલ યુદ્ધમાં ટાઈગર હિલ પર વિજય મેળવવાના સાક્ષી બન્યા.
આ બન્ને યુવાનો નિવૃત્ત થઈને જ્યારે ગામમાં પાછા વળ્યા ત્યારે તેમણે ગામના પ્રત્યેક યુવાનોમાં દેશભક્તિ જગાવી હતી,ત્યાર બાદ યુવાનોમાં રહેલી દેશ દાઝ બહાર આવી,બન્ને યુવાઓ એ દેશ પ્રત્યેની અનહદ લાગણીઓ સાથે આર્મીમાં ભરતી થવા માટે માર્ગદર્શન આપવાનું તથા શારીરિક તાલીમ આપવાનું શરુ કર્યું . બસ ત્યારથી આ ગામમાંથી અનેક યુવાનો દેશની સેવામાં જોડાવા લાગ્યા અને આજ દિન સુઘી આ કાર્યપ્રણાલી શરુ જ છે.