1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મહિસાગરના જનોદ ગામના લોકોને થયા વાઘના દર્શન, વન વિભાગ કહે છે, તે વાઘ નહીં દીપડો હશે
મહિસાગરના જનોદ ગામના  લોકોને થયા વાઘના દર્શન, વન વિભાગ કહે છે, તે વાઘ નહીં દીપડો હશે

મહિસાગરના જનોદ ગામના લોકોને થયા વાઘના દર્શન, વન વિભાગ કહે છે, તે વાઘ નહીં દીપડો હશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વર્ષો પહેલા વાઘ હતા. હવે વાઘ જોવા મળતા નથી. એટલે વાઘની વસતી નામશેષ થઈ ગઈ છે. ત્યારે મહિસાગર જિલ્લામાં જનોદ ગ્રામજનોએ વાઘ જોયો હોવાનો વન વિભાગના અધિકારીઓ સમક્ષ દાવો કર્યો હતો. જ્યારે વન વિભાગના અધિકારીઓનું કહેવું છે, ગ્રામજનોએ જે પ્રાણીને જોયું છે, તે વાઘ નહીં પણ દીપડો હશે. તેના ફુટપ્રિન્ટ પરથી પણ દીપડો હોવાનું લાગી રહ્યું છે. જોકે વાઘને જોયા બાદ જનોદના ગ્રામજનો ફફડી ગયા છે. વાઘ જ્યાં સુધી  પાંજરામાં ન પૂરાય ત્યાં સુધી સ્થાનિકોએ જૂથમાં જ બહાર નીકળવાનું નક્કી કર્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મહિસાગર જિલ્લાના જંગલ વિસ્તારોમાં વાઘ હોવાનો સ્થાનિકો અવાર-નવાર દાવો કરતા હોય છે. જનોદ ગામના લોકોએ 2021માં પણ વાઘ જોયો હોવાનું કહીને હોબાળો મચાવ્યો હતો, અને હવે જનોદના લોકોએ વાઘ જોયાનો ફરીવાર દાવો કર્યો છે. પરંતુ વન વિભાગનું કહેવું છે કે, ગ્રામજનોએ જોયો તે દીપડો છે. નાયબ વન સંરક્ષક એન.વી. ચૌધરીએ આ વખતે પણ જનોદ ગામના લોકોના દાવાને નકાર્યો હતો. તેમણે જણાવ્યું કે, અમે અમારી ટીમોને આ વિસ્તારમાં તૈનાત કરી છે અને પ્રાણીની શોધ કરી રહ્યા છે. અમને હજુ સુધી દિપડાની હાજરી સુનિશ્ચિ કરવા માટે કોઈ નિશાન, ફૂટ માર્ક, મળમૂત્ર કે કોઈ શિકાર મળ્યો નથી. વિભાગે પુરાવા એકત્ર કરવા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.પી. ચૌધરીને ગામમાં નિયુક્ત કર્યા છે. જો કે, સ્થાનિક લોકો ભારપૂર્વક કહી રહ્યા છે કે તેઓએ વાઘ જોયો છે.

જનોદ ગામના  શિક્ષકના કહેવા મુજબ  મને વાઘ તથા દિપડા વચ્ચેનો તફાવત ખબર છે. તેના શરીર પર પટ્ટા હતા, ધબ્બાવાળુ પ્રાણી નહોતું. સાંજના લગભગ 6.45 વાગ્યાનો સમય હતો અને મેં પ્રાણીને મહિ નદીના કોતરો તરફ જતા જોયો હતો. તેને સ્પષ્ટ રીતે જોવા માટે મેં ટોર્ચ પણ ચાલુ કરી હતી. હું વિશ્વાસની સાથે કહી શકું છું કે તે એક વાઘ હતો. ગામમાં નીલગાયઅને શાહુડીના મૃતદેહો જંગલી પ્રાણીની હાજરીની પુષ્ટિ કરે છે. કોતરબોર ગામના લોકોએ પણ વાઘને જોયો હોવાનો દાવો કર્યો હતો. વન વિભાગે પંચાયતને જાણ કરી છે કે તે દિપડો હોઈ શકે છે, પરંતુ ગ્રામજનો કોઈ જોખમ ઉઠાવવા માગતા નથી. હવે બહાર નીકળવા માગતા હોય તો તેઓ જૂથમાં જ નીકળે છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code